પાટણ જિલ્લામાં કોરોનાના નવા ૨૪ પોઝીટીવ કેસ
રખેવાળ ન્યુઝ પાટણ : પાટણ જીલ્લામાં રોજેરોજ કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. જેમાં દરરોજ જીલ્લાના શહેરી અને ગ્રામ્ય પંથકના અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. શનિવારે પાટણ જીલ્લામાં ૨૪ કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આરોગ્ય તંત્ર દ્રારા સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત શરૂ કરવામાં આવી છે. આ તરફ જીલ્લાનો અત્યાર સુધીનો કુલ આંક ૨૩૦૪ ઉપર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ નવા દર્દી ઉમેરાઇ રહ્યા છે. આજે પાટણ શહેરમાં ૧૦, તાલુકાના ધારપુર, સંડેર, મણુંદ, માતપુર અને ધારપુર કેમ્પસમાં ૧- ૧, સુજનીપુર સબજેલમાં ૨, ચાણસ્મા તાલુકાના ગંગેટ-વસઇપુરામાં ૧- ૧, હારીજ શહેરમાં ૨, સિધ્ધપુર તાલુકાના ગણવાડામાં ૧, સાંતલપુર તાલુકાના ડાભીમાં ૧ અને સરસ્વતી તાલુકાના સરીયદમાં ૧ મળી નવા ૨૪ કેસ નોંધાયા છે. નોંધનિય છે કે, સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થવાનું નામ લેતો નથી તે એક ચિંતાનો વિષય છે. અનલોક-૫ માં જ્યાં-જ્યાં છૂટછાટ અપાઈ છે તે તમામ જગ્યાઓ ઉપર સરકારી ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે રાજ્યમાં શાળાઓ બંધ છે તો સમગ્ર રાજ્યમાં શિક્ષણ તંત્રની રહેમનજરે ટ્યુશનની હાટડીઓ ધમધમી રહી છે. કોરોના મહામારીની ગંભીરતાને અનુલક્ષીને બસોમાં સરકારી નિયમોનુંસાર સીમિત સંખ્યામાં મુસાફરો ભરાય છે તો બીજી તરફ પોલિસતંત્રની રહેમનજરે લકઝરીઓ અને શટલીયા ઇકો અને જીપોમાં ખીચો-ખીચ મુસાફરો બિન્દાસ ભરાય છે !