સિધ્ધપુરમાં 2 બાઇક સામસામે અથડાતાં 2 યુવકોના મોત
સિધ્ધપુર હાઇવે પર બિંદુ સરોવર પાસે ગતરાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં 2 આશાસ્પદ યુવકોના મોત થયા છે. રાત્રે આઠેક વાગ્યા આસપાસ સર્જાયેલા અકસ્માતમાં કુલ 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેમાંથી બે યુવકોના સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં ખસેડતાં મોત થયા હતા. આ તરફ અન્ય બે યુવકોને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ બાઇકચાલક સામે ફરીયાદ નોંધાવી છે. આ તરફ મૃતકોના પરિવારે આક્ષેપ કર્યો છે કે, અકસ્માત બાદ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતાં ડોક્ટર હાજર ન હોવાથી મોડી સારવાર મળતાં તેમનું મોત થયુ છે.
પાટણ જીલ્લાના સિધ્ધપુરના બિંદુ સરોવર નજીક અકસ્માતની ઘટનામાં 2 યુવકો મોત થયા છે. ગુરૂવારે રાત્રે આઠેક વાગ્યે વિનોદભાઇ મેરૂજી ઠાકોર અને દશરથજી ઉદાજી ઠાકોર બાઇક લઇને ખળી ચાર રસ્તાથી બિંદુ સરોવર તરફ આવતાં હતા. આ દરમયાન પાલનપુર બાજુથી એક મોટર સાયકલના ચાલકે બમ્પ કુદાળી કાબૂ ગુમાવતાં બંને બાઇકો સામસામે ટકરાયા હતા. જેમાં વિનોદભાઇ ઠાકોર, દશરથજી ઠાકોર, રહેમાન સત્તરભાઈ મુસ્લિમ અને મહમદ પીરુભાઈ મુસ્લિમ ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેથી તમામને સારવાર અર્થે સિધ્ધપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દશરથજી અને વિનોદભાઇનું મોત થયુ હતુ. આ તરફ અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
સિધ્ધપુરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે તેમને આક્ષેપ કર્યો છે કે, ઇજાગ્રસ્તોને દવાખાને ખસેડાયા ત્યારે બંને જીવતા હતા પરંતુ ફરજ પર ડોક્ટર હાજર ન હોઈ સારવારમાં વિલંબ થતાં તેમનું મોત થયુ છે.
આ તરફ સમગ્ર માલમે મૃતક વિનોદભાઇના ભાઇ બળદેવભાઇએ બાઇકચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સિધ્ધપુર પોલીસે આરોપી સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.