રાધનપુર તાલુકામાં બાળકોને ઓનલાઇન શિક્ષણ
રખેવાળ ન્યુઝ રાધનપુર : કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત વર્તમાન સમય સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય માટે વિપરીત અને પ્રતિકૂળ છે ત્યારે હાલ લોકડાઉન લાગુ હોવાથી તમામ પ્રાથમિક શાળાઓમા ગત ૧૬ માર્ચથી અધ્યયન બંધ થયેલ છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓની આ લાંબી રજાઓ દરમ્યાન વાંચન,લેખન અને ગણનની લિંક તૂટે નહિ તે માટેની ચિંતા અને ચિંતન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વ્યક્ત થયેલ છે.શાળાના વિદ્યાર્થીઓ આ પ્રતિકૂળતા વચ્ચે કંટાળે નહી તેથી જ્ઞાન અને ગમ્મત સાથે પોતાની શૈક્ષણિક સફર ચાલુ રાખી શકે તે હેતુથી સમગ્ર શિક્ષા,ગાંધીનગર અને જી.સી.ઈ.આર.ટી,ગાંધીનગર દ્વારા ઓનલાઈન શૈક્ષણિક સાહિત્ય વિવિધ વેબ કાસ્ટ,ન્યૂઝ ચેનલ અને બાયસેગના માધ્યમ થકી શૈક્ષણિક એકમો આયોજન મુજબ પ્રસારિત કરવામાં આવે છે.ધો ૩ થી ૯ના અઠવાડિક “સ્ટડી હોમ મટેરિયલ” તેમજ “પરિવારનો માળો સલામત અને હૂંફાળો”બાળકોના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.જેમાં છેલ્લા ૨૮ દિવસથી દરરોજ બાળવાર્તા, પ્રવૃતિ,રમત,સંદેશ,ગીત અને જંતરમંતર જેવા અધ્યયનબિંદુઓ થકી બાળકોને શિક્ષણ પ્રક્રિયા સાથે જોડી રાખવામાં આવે છે સમગ્ર શિક્ષા,ગાંધીનગર અને જી.સી.ઈ. આર.ટી ગાંધીનગર પ્રેરિત પાટણ જિલ્લા પ્રોજેક્ટ કા.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકડાઉનના આ સમયમાં શિક્ષણને કાર્યશીલ રાખવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે.