એશિયા કપ : કોહલી, કે એલ રાહુલનું ટીમમાં પુનરાગમન
મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલી તેમજ ઈજામાંથી ફિટ થયેલા ઓપનર કે એલ રાહુલનું એશિયા કપ માટે ભારતીય ટીમમાં પુનરાગમન થયું છે. સોમવારે એશિયા કપ માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરાઈ હતી. ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટીમમાંથી બહાર થયો છે જેને પગલે ભારતની તૈયારીને ફટકો પડ્યો છે. કે એલ રાહુલ તાજેતરમાં કોરોના સંક્રમિત થતાં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી૨૦ શ્રેણી ગુમાવી હતી. રાહુલે હાલમાં સારણ ગાંઠનું પણ ઓપરેશન કરાવ્યું હતું અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ થતાં તે ભારતીય ટીમના ઉપ કપ્તાનની ભૂમિકા અદા કરવા સજ્જ છે.
ભારતીય ટીમમાંથી બાકાત કરવામાં આવેલા ખેલાડીઓ પૈકી સૌથી મોટું નામ શ્રેયસ ઐયરનું છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ઐયરે ખાસ દેખાવ નહીં કરતા તેને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અક્ષર પટેલને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. દીપક ચાહરને પહેલા સ્નાયૂ ખેંચાવાની સમસ્યા અને બાદમાં પીઠની ઈજાને પગલે ચાર માસ સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું અને તેને પણ એશિયા કપમાં અનામત ખેલાડી તરીકે રાખવાનો ર્નિણ કરાયો છે. ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિત શર્મા કરશે. ભારતના યુવા ઝડપી બોલર અર્શદીપને ટીમમાં સમાવવામાં આવ્યો છે જ્યારે આવેશ ખાનને પણ તક આપવામાં આવી છે.
ઝડપી બોલર હર્ષલ પટેલને પાંસળીમાં ઈજા થઈ હોવાથી તે એશિયા કપ ગુમાવશે. બુમરાહ અને હર્ષલ ઈજાગ્રસ્ત થયા હોવાથી એશિયા કપમાં પસંદગી માટે ઉપલ્બ નથી તેમ બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું. ભારતના ટોચના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે ૨૭ ઓગસ્ટથી શરૂ થનાર એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. સૂત્રોના મતે જસપ્રીત બુમરાહ એશિયા કપ ટી૨૦ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહ વિશ્વના ઝડપી બોલર્સ પૈકીનો એક છે.
ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ તેનું ટીમમાં રમવું મહત્વનું છે અને તેથી જ ઈજાગ્રસ્ત સ્થિતિમાં તેનું એશિયા કપમાં રમવું હિતાવહ નથી. ટીમ મેનેજમેન્ટ કોઈ પણ જાેખમ લેવા નથી ઈચ્છતું. જસપ્રીત બુમરાહ છેલ્લે ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝમાં રમ્યો હતો અને તેને વેસ્ટ ઈન્ડિઝ તેમજ ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં આરામ આપવાનું નક્કી કરાયું હતું. બુમરાહ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પ્રાપ્ત કરવા જશે. બીસીસીઆઈના સૂત્રના જણાવ્યા મુજબ બુમરાહની ઈજા વધુ ગંભીર નથી તેમ છતાં એશિયા કપમાંથી તેને બહાર કરવાનો ર્નિણય લેવાયો છે. જાે કે તે ઝડપથી સ્વસ્થ થશે અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગએની વન-ડે તેમજ ટી૨૦ સિરીઝ સુધી ફિટ થઈ જાય તેવી સંભાવના છે.
બુમરાહની ફિટનેસ પર સવાલ ઉભો થયો હોય તેવો આ પ્રથમ બનાવ નથી. અગાઉ પણ તે ઈજાને પગલે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. હાલમાં જસપ્રીત પોતાના પરિવાર સાથે અમેરિકામાં રજાઓ ગાળી રહ્યો છે. બે માસ સુધી ટીમનો હિસ્સો નહીં રહ્યા બાદ ઈજાને પગલે હવે બુમરાહ વધુ થોડો સમય ટીમ ઈન્ડિયામાંથી બહાર થતાં ભારતને મોટો ફટકો પડ્યો છે.બુમરાહની ગેરહાજરીમાં આવેશ ખાન ટીમમાં સ્થાન મેળવવા પસંદગીકારોની પ્રથમ પસંદગી બને છે.
એશિયા કપ જેવી મહત્વની ટૂર્નામેન્ટમાં આવેશને તક મળવાથી તે પસંદગીકારોનો વિશ્વાસ જીતી શકે છે અને આમ તે ટીમનો હિસ્સો બની રહેશે. રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિશભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંઘ, આવેશ ખાન