યુપીમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો યુપીમાં 300 યુનિટ ફ્રી વીજળી મળશે
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને લઈને આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે. જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લખનઉમાં કહ્યું છે કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 300 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ સિવાય ખેડૂતોને ખેતી માટે વીજળી સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. આ બાબતે યુપીના પ્રભારી સંજયસિંહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને જે રીતે સમગ્ર પ્રદેશમાં લોકોનું સમર્થન મળી રહયું છે તે ખૂબ જ ઉત્સાહભર્યું છે. ત્યારે અમે દિલ્હી સરકારના વિકાસ મોડલને લઈને રાજ્યની જનતાની સમક્ષ જઈશું અને અમને વિશ્વાસ છે કે જનતા અમને સાથ આપશે. વધુમાં તેમણે કહ્યું હતું કે બજેટ લગભગ 5 લાખ કરોડ છે. અમે મૂલ્યાંકન કર્યું છે કે આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. રાજ્યના ખેડૂતોના બાકી વીજળીના બિલ પણ માફ કરવામાં આવશે. રાજયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના 100 સંભવિત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહે પ્રભારીઓની યાદી જાહેર કરી હતી. સંજયસિંહે કહ્યું હતું કે ચૂંટણીના સમયે આ પ્રભારી પણ ઉમેદવાર હોઇ શકે છે. આમ આદમી પાર્ટીએ યુપીમાં કોઇની સાથે ગઠબંધન કર્યા વગર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.