દિલ્હીમાં શાકમાર્કેટ જેવા ગીચ ભીડ ધરાવતા વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી
દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ચાલૂ છે. એક વ્યક્તિનું કાટમાળમાંથી રેસ્કયૂ કરવામાં આવ્યું છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હજી પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની સંભાવનાઓ છે. ફાયર ડિપાર્ટમેન્ટની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
અત્યાર સુધી કાટમાળમાંથી એક ઘાયલ વૃદ્ધને નિકાળવામાં આવ્યા છે. બિલ્ડીંગમાં 4થી 5 લોકો હતા જે દટાયેલા હોય શકે છે. બિલ્ડીંગ નીચે કામ ચાલી રહ્યુ હતું જેમાં મજૂરો કામ કરી રહ્યા હતા, તેઓ પણ દબાયા હોવાના સમાચાર છે. જણાવામાં આવી રહ્યું છે કે બે બાળકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં તેઓ પણ કાટમાળમાં દબાયા અને એક કાર પણ ચપેટમાં આવી ગઈ છે. અત્યારે NDRFની ટીમે બંને બાળકોને કાટમાળમાંથી નિકાળી દીધા છે. બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે કેટલાય લોકોના દબાયા હોવાની સંભાવના છે. કાટમાળમાં ઘણી ગાડીઓ પણ દબાયેલી છે. બિલ્ડીંગ ધરાશાયી થતા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે. આ ઘટના સાંભળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ પણ કર્યું છે. તેમણે લખ્યું છે શાક માર્કેટ વિસ્તારમાં બિલ્ડિંગ પડવાની ઘટના ખૂબ જ દુ:ખદ. પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગ્યું છે, જિલ્લા પ્રશાસનના માધ્યમથી હું જાતે જ સ્થિતિ પર નજર રાખી રહ્યો છું.
જણાવામાં આવી રહ્યુ છે કે બપોરે 11:50 મિનિટ પર શાક માર્કેટથી એક ફોન કોલ આવ્યો હતો જેમાં જણાવામાં આવ્યું છે કે એક ઈમારત ધરાશાયી થઈ છે. ઘટનાની સૂચના મળતા જ ફાયર ટેન્ડર ગાડીઓ પહોંચી ગઈ છે. આ બિલ્ડીંગ મલકાગંજના નજીક દિલ્હીમાં રોબિન સિનેમાની સામે આવેલી છે.