
પથ્થર કાપવાના મશીનથી મૃતદેહના ટૂકડા કરી ફ્રિજમાં છૂપાવ્યા
નવી દિલ્હી, હૈદરાબાદમાં દિલ્હીના જાણીતા શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના બની છે. અહીં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તેણે બે પથ્થર કાપવાના મશીન ખરીદ્યા હતા. તેણે ગર્લફ્રેન્ડના મૃતદેહના ટૂકડા કરી માથું કાપી નાખ્યું અને તેને પોલિથીનમાં ભરીને ફ્રીજમાં રાખ્યું હતુ. થોડા દિવસો બાદ તેણે લાશને કચરાના ઢગલા પાસે ફેંકી દીધી હતી. આ પછી તેણે ઘર સાફ કર્યું જેથી કોઈ પુરાવા મળે નહીં.
એટલું જ નહીં, તે મૃતક મહિલાના ફોન પરથી તેના પરિચિતોને મેસેજ કરતો રહ્યો જેથી લોકોને લાગે કે તે જીવિત છે. પોલીસે વ્યક્તિની ધરપકડ કરી છે. વાસ્તવમાં ૧૭ મેના રોજ સુધાકર નામના કર્મચારીને થિયાગલગુડા રોડ પર કચરો ડમ્પિંગ સાઇટ પરથી કાળા રંગની પોલિથીનમાં એક મહિલાની ટૂકડા કરેલી લાશ મળી આવી હતી. આ પછી તેણે પોલીસને જાણ કરી હતી. તમામ તપાસ બાદ પોલીસે મૃતક મહિલાની ઓળખ યેરમ અનુરાધા રેડ્ડી તરીકે કરી હતી. અનુરાધા ૫૫ વર્ષની હતી. તેના અને ૪૮ વર્ષીય ચંદ્ર મોહન વચ્ચે ૧૫ વર્ષથી અફેર હતું. અનુરાધાના પતિએ તેને ઘણા સમય પહેલા છોડી દીધી હતી, તેથી તે ચંદ્ર મોહનના ઘરે રહેતી હતી.
તપાસમાં ખુલાસો થયો હતો કે અનુરાધા વ્યાજ પર પૈસા આપતી હતી. ચંદ્ર મોહને ૨૦૧૮માં અનુરાધા પાસેથી ૭ લાખ રૂપિયા પણ લીધા હતા. અનુરાધા ચંદ્ર મોહનને પૈસા પરત કરવાનું કહેતી હતી પરંતુ ચંદ્ર મોહન પૈસા પરત કરતો ન હતો. આવી સ્થિતિમાં અનુરાધા તેના પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. ચંદ્રમોહને અનુરાધાનો પીછો છોડાવવા માટે તેની હત્યા કરવાનું કાવતરુ રચ્યું હતું. ૧૨ મેના રોજ ચંદ્રમોહન અને અનુરાધા વચ્ચે પૈસાને લઈને બીજી વખત ઝઘડો થયો હતો. દરમિયાન ચંદ્રમોહને અનુરાધા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું હતું. અનુરાધાની હત્યા કર્યા પછી ચંદ્રમોહને મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી. આ માટે તેણે પહેલા પથ્થર કાપવાના બે મશીન ખરીદ્યા હતા.
આ મશીનની મદદથી પહેલા તેણે અનુરાધાનું માથુ અલગ કરી દીધું. આ પછી તેણે લાશના ઘણા ટુકડા કરી નાખ્યા. તેણે માથું કાળા રંગની પોલિથીનમાં રાખ્યું હતું. આ પછી તેણે કપાયેલા હાથ અને પગને પોલીથીનમાં ભરીને ફ્રીજમાં સંતાડી દીધા હતા. જ્યારે બાકીનું ધડ સૂટકેસમાં સંતાડયું હતું. ચંદ્રમોહન ૧૫મી મેના રોજ ઓટોમાં આવ્યો હતો અને કપાયેલું માથું ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી આવ્યો હતો. આ પછી આરોપીએ ફિનાઈલ, ડેટોલ, પરફયુમ, અગરબત્તી, કપૂર અને પરફયુમ સ્પ્રેની બોટલો ખરીદી અને અનુરાધાના બાકીના શરીર પર લગાવતો રહ્યો હતો જેથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય નહી.
એટલું જ નહીં, આરોપી અનુરાધાના ફોન પરથી તેના સગા સંબંધીઓને મેસેજ કરતો રહ્યો, જેથી લોકોને ખબર ન પડે કે તે મરી ગઈ છે. આ પહેલા દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આરોપ મુજબ શ્રદ્ધાના પ્રેમી આફતાબે દિલ્હીના મહેરૌલીમાં તેની હત્યા કરી હતી. આફતાબે ગયા વર્ષે ૧૮ મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી મૃતદેહના ૩૫ ટુકડા કરવામાં આવ્યા હતા. આફતાબે મૃતદેહ રાખવા માટે ફ્રીજ ખરીદ્યું હતું.