
ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ છે : કેનેડાના રક્ષામંત્રી
નવી દિલ્હી, ભારત સાથેના સંબંધોને ‘મહત્વપૂર્ણ’ ગણાવતા કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે કહ્યું કે તેમનો દેશ ઈન્ડો-પેસેફિક રણનીતિ જેવી ભાગીદરીઓને આગળ વધારવાનું ચાલુ રાખશે. પરંતુ એક ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ ચાલુ રહેશે.
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધમાં તણાવ વકરી રહ્યો છે. સંબંધોમાં તનાતનીને લઈને કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે મોટું નિવેદન આપતા ભારત સાથેના કેનેડાના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા. તેમણે કહ્યું કે કેનેડા ખાલિસ્તાની સમર્થક આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે ભારત સાથે હિન્દ-પ્રશાંત રણનીતિ જેવી ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે.
બ્લેયરે કહ્યું કે અમારી જવાબદારી છે કે અમે કાયદાનું પાલન કરીએ અને અમારા નાગરિકોની રક્ષા કરીએ અને આ સાથે જ એ સુનિશ્ચિત કરીએ કે અમે પૂરી તપાસ કરીએ અને સચ્ચાઈ સુધી પહોંચીએ. તેમણે કહ્યું કે જો આરોપ સાચા સાબિત થાય તો કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યા અમારા સાર્વભૌમત્વનો ભંગ હશે અને આ કેનેડા માટે મોટો ચિંતાનો વિષય રહેશે.
બ્લેયરે કહ્યું કે ઈન્ડો પેસિફિક રણનીતિ હજુ પણ કેનેડા માટે મહત્વપૂર્ણ છે અને તેનાથી વિસ્તારમાં સૈન્ય ઉપસ્થિતિ વધી છે અને આગળની પેટ્રોલિંગ ક્ષમતાઓ માટે પ્રતિબદ્ધતાઓ વધી છે.
આ રણનીતિ તે સૈન્ય પ્રાથમિકતાઓ માટે પાંચ વર્ષોમાં ૪૯૨.૯ મિલિયન ડોલરનું યોગદાન આપે છે જે આ વર્ષે લગભગ ૨.૩ બિલિયન ડોલર થઈ ચૂકી છે.
અત્રે જણાવવાનું કે ૧૮ જૂનના રોજ ૪૫ વર્ષના ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની બ્રિટિશ કોલમ્બિયામાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ હાલમાં જ એક વિસ્ફોટક આરોપ લગાવતા કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત સંડોવણી સામે આવી છે. ટ્રૂડોના આરોપ બાદ કેનેડા અને ભારત વચ્ચે સંબંધો વણસી ગયા છે. ભારતે ૨૦૨૦માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
ભારતે ટ્રૂડોના આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવીને ફગાવ્યા હતા અને આ મામલે કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને નિષ્કાસિત કરવાના બદલામાં વરિષ્ઠ કેનેડિયન રાજનયિકને નિષ્કાસિત પણ કર્યા. ધ વેસ્ટ બ્લોક પર રવિવારે પ્રસારિત એક ઈન્ટરવ્યુમાં કેનેડિયન રક્ષામંત્રી બ્લેયરે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે આરોપોની તપાસ ચાલુ રહે ત્યાં સુધી કેનેડા તે ભાગીદારીઓને ચાલુ રાખશે. ગ્લોબલ ન્યૂઝે તેમના હવાલે કહ્યું કે અમે સમજીએ છીએ કે ભારત સાથેના અમારા સંબંધોના મામલે આ એક પડકારજનક મુદ્દો બની શકે છે અને સાબિત થયો છે.