દસ્તાવેજો પ્રમાણે રામલલ્લા હવે ૨.૭૭ એકર જમીનના માલિક
અયોધ્યા : અયોધ્યામાં ૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે. તે પહેલાં રામલલ્લા બિરાજમાન હવે સરકારી દસ્તાવેજમાં ૨.૭૭ એકર ભૂમિના માલિક બની ગયા છે. જિલ્લા વહીવટીતંત્રએ સરકારી દસ્તાવેજોમાં તે અંગે નોંધણી કરી નાખી છે. ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે ૧૭૫ લોકોને આમંત્રણ મોકલવામા આવ્યું છે. સોમવારે બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીને પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ સોંપવામાં આવ્યું હતું. તે સિવાય ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યને પણ આમંત્રિત કરવામા આવ્યા છે. દરમિયાનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે અને તેમણે ભગવાન શ્રીરામના દર્શન પણ કર્યા હતા. કહેવાય છે કે, જે લોકોને કાર્યક્રમનું આમંત્રણ મોકલાઈ રહ્યું છે તેમાં ભાજપ-સંઘના નેતાઓની સાથે રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, ડાૅ. રામવિલાસ વેદાંતી પણ સામેલ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અનેક કારસેવકના પરિવારજનોને પણ આમંત્રણ પાઠવ્યું છે, જે બાબરી ધ્વંસમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. ઇકબાલ અંસારીએ કહ્યું- આ ધાર્મિક નગરી છે. અહીં ગંગા-જમુના સંસ્કૃતિ યથાવત છે. અહીં કણ કણમાં દેવતા વાસ કરે છે.