સુપ્રીમ કોર્ટે એ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી; કહ્યું- વ્યાજ માફી અંગે 7 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ કરો, 1લી સપ્ટેમ્બરે આગામી સુનાવણી
લોકડાઉન પીરિયડમાં લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા 7 દિવસમાં સોગંદનામું આપીને વ્યાજ માફી અંગે સ્પષ્ટતા કરવા માટે કહ્યું છે. કોર્ટે બુધવારે કહ્યું કે, લોકોની મુશ્કેલીની ચિંતા છોડી તમારા બિઝનેસ વિશે ન વિચારી શકીએ. સરકાર RBIના નિર્ણયની પાછળ સંતાઈ રહી છે, જ્યારે તેની પાસે જાતે નિર્ણય લેવાનો અધિકાર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સરકાર બેન્કોને વ્યાજની વસુલાત માટે અટકાવી શકે છે. આ કેસમાં આગામી સુનાવણી 1લી સપ્ટેમ્બરે કરવામાં આવશે.
શું મોરેટોરિયમ કેસ?
કોરોના અને લોકડાઉનના કારણે RBIએ માર્ચમાં લોકોને મોરેટોરિયમ એટલે કે લોનની EMI 3 મહિના માટે ટાળવાની સુવિધા આપી હતી. ત્યારપછી તેને વધુ 3 મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી દેવાઈ હતી. RBIએ કહ્યું હતું કે લોનના હપ્તા 6 મહિના સુધી નહીં ભરો, તો તેને ડિફોલ્ટ ગણવામાં નહીં આવે. પરંતુ મોરેટોરિયમના બાકીના પેમેન્ટ પર વ્યાજ પુરેપુરુ આપવું પડશે.
મોરેટોરિયમ 31 ઓગસ્ટથી આગળ વધારવાની પણ માંગ
વ્યાજની શરતને ઘણા ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમની દલીલ છે કે મોરેટોરિયમમાં વ્યાજ પર છૂટ મળવી જોઈએ, કારણ કે વ્યાજ પર વ્યાજની વસુલાત કરવી એ ખોટું છે. એક પિટીશનરના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બુધવારે સુનાવણીમાં એવી પણ માંગ કરી છે કે જ્યાં સુધી વ્યાજ માફીની અરજી અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે, ત્યાં સુધી મોરેટોરિયમ પીરિયડ વધારી દેવો જોઈએ.
સરકારે શું કહ્યું?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સરકાર, RBI સાથે કો-ઓર્ડિનેશન કરી રહી છે. તમામ સમસ્યાઓનું એક જેવું સોલ્યુશન ન હોઈ શકે.
આ કેસમાં ગત સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, સરકાર આને બેન્કો અને કસ્ટમર વચ્ચેનો મામલો ગણાવીને વાત બંધ ન કર શકે. સાથે જ કોમેન્ટ કરી હતી કે બેન્ક હજાર કરોડ રૂપિયા NPAમાં નાંખી દે છે, પણ થોડા મહિના મટે ટાળવામાં આવેલી EMI પર વ્યાજ વસુલવા માંગે છે.