ભારતમાં કોરોનાની સંખ્યા ૧૮ લાખને પાર : એક દિવસમાં નવા ૫૩ હજાર કેસ
ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં હવે અનલોક-૩નો અમલ થરૂ થઇ ગયો છે અને ૫ ઓગસ્ટથી જીમ-યોગા સસ્થાઓને ખોલવાની મંજૂરી વચ્ચે અનલોક-૩ના બીજા દિવસે ફરીથી કેસોની સંખ્યા ૫૦ હજારને પાર નોંધાઇ હતી. આજે સોમવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે રવિવારના રોજ ૫૨,૯૭૨ કેસો સામે આવ્યાં હતા. એ સાથે જ કેસોની સંખ્યા ૧૮ લાખને પાર પહોંચી ગઇ હતી. આ જ સમયગાળામાં વધુ ૭૭૧ના મોત થયા હતા. ભાજપના કેટલાક નેતાઓની સાખથે હવે કોંગ્રેસના નેતાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ પણ કોરોનામાં સપડાયા છે. ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ ઉપરાંત અન્ય એક જળશક્તિ મંત્રી ડો. મહેન્દ્ર સિંહ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ યુપીના એક મહિલામંત્રી કમલરાનીનું કોરોનાથી નિધન થયું છે. દેશમાં કોરોનાના સંક્રમણ ફેલાવાની ગતિ ઘટવાને બદલે તેની ઝડપ વધી રહી હોય તેમ છે. જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧૮ લાખને પાર કરી ગઈ છે. નિષ્ણાતાઓ જે ઝડપનો અંદાજ લગાવ્યો હતો તેનાથી પણ વધારે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૩ હજાર નવા કેસ નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૮,૦૩, ૬૯૫ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર, ૯૭૨ દર્દીનો વધારો થયો છે. જ્યારે ૭૭૧ લોકોનાં મોત થયા છે. આ પહેલા શનિવારે ૫૪,૭૩૫ કેસ સામે આવ્યા હતા અને ૮૫૩ લોકોનાં મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા ૧૮ લાખ ૩ હજાર ૬૯૬ થઈ ચુકી છે. જેમાંથી ૫ લાખ ૭૯ હજાર ૩૫૭ સક્રિય કેસ છે.