વડાપ્રધાનની જી-7 દેશોની મુલાકાત રદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનમાં મળનારી જી-7 દેશોની બેઠકમાં હાજરી નહીં આપે. શ્રી મોદી આ બેઠકમાં ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેવાના હતા અને તા.12-13 જુનના રોજ આ માટે બ્રિટનની મુલાકાતે જવાના હતા. કોરોના કાળમાં વડાપ્રધાન છેલ્લા 15 માસમાં ફકત માર્ચ મહીનામાં બાંગ્લાદેશની મુલાકાતે ગયા છે. જી-7 દેશોની બેઠકમાં હાજરી આપવા બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસને શ્રી મોદીને આમંત્રણ આપ્યુ હતુ અને આ બેઠકમાં ઓસ્ટ્રેલીયા, સાઉથ કોરીયા અને સાઉથ આફ્રીકા એ પણ આમંત્રીત તરીકે હતા.
પરંતુ ભારતમાં જે રીતે કોરોનાની સ્થિતી છે તે જોતા મોદી હાલ વિદેશ નહીં જાય. વડાપ્રધાને ભારત યુરોપીયન સંઘની પોર્ટુગલમાં યોજાનારી બેઠકમાં પણ નહીં જવા નિર્ણય લીધો છે. તા. 8 મે ના રોજ આ બેઠક યોજાવાની હતી. હાલ વિદેશમંત્રી એસ. જયશંકર લંડનમાં છે. તેઓએ જી-7 દેશોના વિદેશ મંત્રીની બેઠકમાં હાજરી આપી હતી. પરંતુ બાદમાં કોરોના સંક્રમીતોના સંપર્કમાં આવતા કોરન્ટાઇન થયા છે.