PM મોદીની બેઠકમાં સામેલ નહીં થાય મમતા બેનર્જી, સાંજે 6.30 વાગે રાજ્યોના CM સાથે કોરોના મુદ્દે થશે ચર્ચા
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી સાથેની બેઠકથી કિનારો કરી લીધો છે. કોરોના મહામારી અંગે આજે સાંજે 6.30 વાગ્યે યોજાનારી આ સભામાં બંગાળથી રાજ્યના મુખ્ય સચિવ ભાગ લેશે. આ પહેલાં 17 માર્ચે મળેલી બેઠકમાં મમતા બેનર્જીએ પોતાને અલગ કરી દીધાં હતાં. પશ્ચિમ બંગાળના ચૂંટણીપ્રચારને કારણે બંને નેતાઓ વચ્ચે હરીફાઈ વધી રહી છે, જેની અસર હવે સરકારી કાર્યક્રમોમાં પણ જોવા મળી રહી છે.
બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ કોરોનાની સ્થિતિ પર રિવ્યૂ બેઠક કરી હતી. ત્યાર બાદ અધિકારીઓને કોરોનાવાયરસનું સંક્રમણ રોકવા માટે કડક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા. આશા રાખવામાં આવી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં વડાપ્રધાન મોદી વેક્સિનેશન પર પણ ચર્ચા કરશે.
મહારાષ્ટ્રમાં વેક્સિનની કમીની ફરિયાદ છે. આ સાથે જ એની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષ વર્ધને મહારાષ્ટ્ર માટે કહ્યું હતું કે ત્યાંની સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે અમારા પર આરોપ લગાવી રહ્યા છે. ત્યાંની સરકારની ભૂલોને કારણે મહારાષ્ટ્રની સ્થિતિ કથળી છે અને સરકાર ભૂલોનું પુનરાવર્તન કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારને પત્ર લખીને વેક્સિનેશન વધારવા માટે જણાવાયું છે.