બંગાળના કલ્યાણી ખાતે PM મોદીની રેલી, કહ્યું- કૂચબિહાર હિંસા દીદીના માસ્ટરપ્લાનનો ભાગ
દેશમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર અને અનેક રાજ્યોમાં વેક્સિનની તંગીની ફરિયાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં પાંચમા તબક્કાના મતદાન માટે રેલી યોજી રહ્યા છે. કલ્યાણી ખાતે રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન તાક્યું હતું. વડાપ્રધાને કૂચબિહાર ખાતે હિંસાની જે ઘટના બની તે દીદીના છપ્પા ભોટ માસ્ટરપ્લાનનો હિસ્સો હતી તેવો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખુલ્લેઆમ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટીએમસીના લોકો કેન્દ્રીય વાહિનીને ઘેરી લેશે અને દીદીના બાકીના સમર્થકો છપ્પા ભોટ નાખશે.
વડાપ્રધાન મોદીએ રેલી દરમિયાન લોકોને ઉદ્દેશીને કહ્યું કે, ‘હું બહેનો-દીકરીઓને કહેવા માંગુ છું કે, તમારા આ સેવકે પોતાની જવાબદારી સમજીને દરેક ઘરે નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચે તે માટે મોટી યોજના શરૂ કરી છે. અમે આ માટે બંગાળની સરકારને પણ સેંકડો કરોડ રૂપિયા મોકલેલા પણ દીદીએ તેનો ખૂબ મોટો હિસ્સો ખર્ચ નથી કર્યો.’
વડાપ્રધાને કહ્યું કે, દીદીને ખબર જ છે કે, એક વાર બંગાળમાંથી કોંગ્રેસ ગઈ તો કદી પાછી ન આવી, વામપંથીવાળા, લેફ્ટવાળા ગયા, પાછા ન આવ્યા. દીદી, તમે પણ એક વાર જશો તો કદી પાછા નહીં આવો. આ ઉપરાંત તેમણે દીદી અનુસૂચિત જાતિના ભાઈ-બહેનોને ગાળ આપતા હોય તેવો આરોપ પણ લગાવ્યો હતો.
બર્ધમાન ખાતેની રેલીમાં વડાપ્રધાને દીદી આટલી કડવાશ ક્યાંથી લાવો છો તેવો સવાલ કર્યો હતો. સાથે જ બંગાળની અડધી ચૂંટણીમાં લોકોએ ટીએમસીને સાફ કરી દીધી હોવાથી દીદીની કડવાશ, તેમનો ક્રોધ, તેમની બેચેની વધી રહ્યા છે તેમ જણાવ્યું હતું.