બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી મળી છે. આ અંગે છતરપુર પોલીસે ફરિયાદ નોંધી છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સંબંધી લોકેશ ગર્ગે ધમકીઓ મળવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અમર સિંહ નામના વ્યક્તિએ અજાણ્યા નંબર પરથી કોલ કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી છે.
લોકેશ ગર્ગના રિપોર્ટ પર બમિઢા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બમીઢા પોલીસે અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કલમ 506 અને 507 હેઠળ એફઆઈઆર નોંધી છે. શ્યામ માનવની ચેલેન્જ મળ્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી આખા દેશમાં ચર્ચામાં છે.
જે વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારને ધમકી આપી છે, તેનું નામ અમર સિંહ જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાબાના પરિવારને ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવી રહ્યો છે. લોકેશ ગર્ગને જે મોબાઈલ નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો તેને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીને તેના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બાબાના સહયોગીઓના જણાવ્યા અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી બે કલાકમાં બાગેશ્વર ધામ પહોંચશે.