
નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર બનશે વડાપ્રધાન : શાહ
ગુવાહાટી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સામાન્ય ચૂંટણીમાં ભાજપ ૩૦૦થી વધારે બેઠકો જીતી શકે છે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે જીત હાંસલ કરશે. કોંગ્રેસ પર વાત કરીને તેમણે કહ્યું કે, ૨૦૨૪માં દેશની સૌથી જૂની પાર્ટી લોકસભામાં પોતાની હાલની બેઠકોની સંખ્યા પણ યથાવત રાખવા માટે સંઘર્ષ કરશે. આસામ સરકારની નોકરીઓ માટે સફળ ૪૪,૭૦૩ ઉમેદવારોની નિમણૂક પત્રોના વિતરણના ઉપલક્ષ્યમાં આયજિત એક જનસભાને સંબોધિત કરીને ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે નવા સંસદ ભવનનું ૨૮મેએ ઉદ્ઘાટન કાર્યક્રમનો નિર્ણય કોંગ્રેસનું નકારાત્મક વલણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી આ મુદ્દે રાજકારણ કરવા બદલ કોંગ્રેસની નિંદા કરી છે. અમિત શાહે નરેન્દ્ર મોદી આગામી વર્ષે ૩૦૦થી વધારે બેઠકો સાથે ફરી એકવાર દેશના પીએમ બનશે. કોંગ્રેસે વિપક્ષનો દરજ્જો ગુમાવી દીધો છે અને તે લોકભામાં આ સમયે જેટલી બેઠકો છે તેને પણ હાંસલ નહીં કરી શકે. કોંગ્રેસનું વલણ નકારાત્મક છે. પીએમ ૨૮મી મેએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. પરંતુ કોંગ્રેસ તેનો બહિષ્કાર કરીને રાજકારણ કરી રહી છે. એવું બહાનું કાઢીને કે રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ૨૧ વિરોધી પક્ષોને વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાબતે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય ભૂમિકાને ઓછી કરે છે અને તેમનો અનાદર કરે છે.
આ મામલો એક મોટા રાજકીય વિવાદ સાબિત થઈ રહ્યો છે, જે શાસક અને વિરોધ પક્ષો વચ્ચેના તણાવને વેગ આપે છે. ઉદ્ઘાટન કાર્યક્રમનો ૨૧ વિપક્ષી પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે, જેમણે કહ્યું છે કે જ્યારે ‘લોકશાહીનો આત્મા મરી ગયો છે’ ત્યારે તેમને નવી ઈમારતનું કોઈ મૂલ્ય દેખાતું નથી. ૨૫ પક્ષો – ૧૮ એનડીએ ઘટક અને સાત બિન-એનડીએ પક્ષો – રવિવારના કાર્યક્રમમાં હાજર રહેશે. અમિત શાહે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહ અંગે સરકારના નિર્ણયનો બચાવ કર્યો અને દલીલ કરી કે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં આવા ઘણા ઉદાહરણો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે તે કિસ્સાઓમાં, નવી વિધાનસભા ઇમારતોનો શિલાન્યાસ રાજ્યપાલોને બદલે સંબંધિત મુખ્યમંત્રી અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના અગ્રણી કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.