કેરળમાં ભારે વરસાદ અને વાદળ ફાટતા 26 લોકોનાં મોત થયા
ચોમાસુ પુરૂ થવા આવ્યું છે ત્યારે બીજીતરફ કેરળમાં ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે રાજ્યના અનેક જિલ્લાઓનો સંપર્ક તુટી ગયો છે અને અનેક પુલો પણ તુટી જવાથી હજારો લોકો સંપર્કવિહોણા થઇ ગયા છે આ સાથે લેંડસ્લાઇડની ઘટનાઓ પણ સામે આવી છે. કેરળમાં ભારે વરસાદથી આવેલા પુરને પગલે અત્યારસુધીમાં 26 લોકોના મોત નિપજ્યા છે. તેમજ કોટ્ટાયમ અને ઇડુક્કીમાં વરસાદે વર્ષોનો રેકોર્ડ તોડયો છે. જેમાં કોટ્ટાયમ જિલ્લામાં તો વરસાદ અને પુરને કારણે અત્યારસુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઇડુક્કી જિલ્લામાં 9 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અલાપુર વિસ્તારમાં 4 લોકોના મોત નિપજ્યા છે. આમ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને રાજ્યની વર્તમાન સ્થિતિને અતીગંભીર ગણાવી છે. જ્યારે હવામાન વિભાગે હજુપણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ બાબત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી મદદ કરવાની ખાતરી પણ આપી હતી. આ સિવાય દિલ્હી-એનસીઆરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીની જેમ ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે મોટાભાગની શૈક્ષણિક ઇન્સ્ટિટયૂટને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને કામચલાઉ પણે અટકાવવી પડી છે.