જમ્મુ-કાશ્મીરઃ આતંકી હુમલામાં બે પોલીસ કર્મી શહીદ, ત્રણ નાગરિકોના પણ મોત
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાના બનાવો ફરી એક વખત વધી રહ્યા છે. જોકે સુરક્ષાદળોના કારણે મોટાભાગના હુમલા નાકામ થઈ રહ્યા છે.
જોકે આજે આતંકવાદીઓ સોપોરમાં પોલીસ અને સીઆરપીએફની ટીમ પર હુમલો કરવામાં સફળ થયા હતા. તેમણે આ ટીમને નિશાન બનાવીને કરેલા ફાયરિંગમાં બે પોલીસ જવાનો શહીદ થયા હતા અને ત્રણ સ્થાનિક નાગરિકોના પણ મોત થયા હતા. પોલીસ કર્મીઓ પૈકીના બે ગંભીર રૂપથી ઘાયલ થયા છે. આ હુમલા પાછળ લશ્કર એ તોઈબા સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
એક અધિકારીએ કહ્યુ હતુ કે, ભાગી રહેલા આતંકવાદીઓે પકડવા માટે ચારે તરફ નાકાબંધી કરવામાં આવી છે. આ પહેલા ગઈકાલે શોપિયાં જિલ્લામાં તૈનાત સુરક્ષા દળોની એક ટીમ પર આંતકીઓએ દુરથી સંખ્યાબંધ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. એ પછી આતંકીઓ ફરાર થઈ ગયા હતા
સુરક્ષાદળોને નિશાન બનાવવાના આતંકવાદીઓના ષડયંત્રોમાં તાજેતરમાં વધારો થયો છે. સોમવારે શ્રીનગર નગર નિગમની બહાર અને ત્રાલમાં આતંકવાદીઓએ વિસ્ફોટકો મુક્યા હતા. જેને નિષ્ક્રિય બનાવવામાં આવ્યા હતા. ત્રાલમાં રસ્તાના કિનારા પર વિસ્ફોટકો મુકવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતા રસ્તા પર અવર જવર બંધ કરાવીને આ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરાયા હતા. આ રસ્તા પરથી સુરક્ષાદળોના વાહનો અવાર નવાર જતા હોય છે.
તેના પહેલા શનિવારે શ્રીનગરના એક પોલીસ મથકથી 40 મીટર દૂર એક બેગમાં વિસ્ફોટકો પ્લાન્ટ કરાયા હતા. જે પણ શોધી કાઢવામાં આવ્યા હતા. આ બેગ જ્યાં મુકવામાં આવી હતી ત્યાં સામાન્ય રીતે સુરક્ષાદળો તૈનાત રહેતા હોય છે.