ઇઝરાયલે દરવાજા બંધ કર્યા, ભારત સહિત 7 દેશની મુસાફરી બૅન કરી, બ્રાઝીલ, ઈથોપિયા, દક્ષિણ આફ્રિકા, મેક્સિકોનો પણ સમાવેશ
અમેરિકા સહિત અનેક દેશોના યાત્રા પ્રતિબંધો છતાં ઈઝરાયલે તેના નાગરિકો પર ભારત અને છ અન્ય દેશોની યાત્રા કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દેશોમાં કોરોના સંક્રમણ વધવાને કારણે આ પગલું ભરાયું છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં બ્રાઝીલ, ઈથોપિયા, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો અને તૂર્કીનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ સોમવારથી લાગુ પડશે અને 16 મેથી સુધી લાગુ રહેશે. જોકે બિન-ઈઝરાયલી આ દેશોમાં ત્યાં કાયમી રહેવાની શરતે જ જઈ શકશે. બીજી બાજુ ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે આ સાત દેશોથી આવનારા લોકો માટે બે અઠવાડિયાનું ક્વૉરન્ટાઇન પણ ફરજિયાત કરી દીધું છે.
ઓસ્ટ્રેલિયા, અમેરિકા પછી હવે પાડોશી દેશ નેપાળે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભારતથી આવનારાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળ દ્વારા ભારત સાથે જોડાયેલા 35 જેટલા સરહદી માર્ગોમાંથી 22ને બંધ કરી દેવાયા છે. આ નિર્ણય કોરોના મહામારી મેનેજમેન્ટ સમન્વય સમિતિની શુક્રવારે આયોજિત બેઠકમાં લેવાયો હતો. હવે નેપાળ અને ભારત વચ્ચેના ફક્ત 13 સરહદી ચોકીઓ પરથી જ અવર-જવર થશે. નેપાળમાં ગુરુવાર અને શુક્રવારે 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
બીજી બાજુ અમેરિકાએ ગત 14 દિવસથી ભારતમાં રહેતા એવા દેશોના લોકો પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જે અમેરિકી નાગરિક નથી. આ આદેશ 4 મેથી લાગુ થશે. જે રાષ્ટ્રપતિના આગામી આદેશ સુધી અનિશ્ચિતકાળ માટે લાગુ રહેશે. અમેરિકી વિદેશમંત્રી ટોની બ્લિન્કેને આ માહિતી આપી હતી. જોકે અમેરિકી વિદેશ વિભાગે વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, પત્રકારો અને અમુક વ્યક્તિઓની કેટલીક કેટેગરીને પ્રતિબંધમાંથી છૂટ આપી છે.
અમેરિકામાં બાઈડેન શાસને ભારતથી આવતી ફ્લાઈટ્સ રોકવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં રેકોર્ડ કોરોનાના કેસો અને મોતના આંકડા પછી આ નિર્ણય લેવાયો છે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ આ જાણકારી આપી હતી. અમેરિકાની સરકારનો આ નિર્ણય 4 મેથી અમલી થશે. એક નિવેદનમાં પ્સાકીએ કહ્યું હતું કે બાઈડેન શાસને આ નિર્ણય સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સલાહ બાદ લીધો છે.
રિપબ્લિકન સાંસદોએ વિરોધ કર્યો: રિપબ્લિકન સાંસદોએ ભારત પર યાત્રા પ્રતિબંધ મૂકવાનો વિરોધ કર્યો હતો. સાંસદ ટિમ બુરચેટે સોશિયલ મીડિયા પર લખ્યું કે મેક્સિકોની સાથે સરહદો ખુલ્લી રાખવી અને અમારા સહયોગી ભારત પર પ્રતિબંધ મૂકવો તર્કસંગત નથી.
આયર્લેન્ડે ભારતને ક્વૉરન્ટાઈન યાદીમાં સામેલ કર્યો: આયર્લેન્ડે પણ ભારતથી આવનારા લોકો માટે ફરજિયાત ક્વૉરન્ટાઈનનો નિયમ બનાવી દીધો છે. આ નિયમ 4 મે એટલે કે મંગળવારથી લાગુ પડશે. ભારત ઉપરાંત આ યાદીમાં જ્યોર્જિયા, ઈરાન, મોંગોલિયા અને કોસ્ટારિકા સામેલ છે.