કાશ્મીરમાં સેનાએ આતંકી સમજી જે ત્રણ છોકરાઓનું 18 જુલાઈએ એન્કાઉન્ટર કર્યું તે રાજૌરીના મજૂર હતા
શ્રીનગર. ગયા મહિનાની 18 તારીખે સેનાએ કાશ્મીરના શોપિયામાં જે ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર કર્યું હતું તેઓ રાજૌરીમાં રહેતા મજૂર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનનું પહેલું ઈનપુટ સેનાને મળ્યું હતું અને સેના એ જ એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. જ્યારે સેનાનું કહેવું છે કે, આ ફેક એન્કાઉન્ટર નથી અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ 21 દિવસ પછી મૃત્યુ પામેલા છોકરાઓના પરિવારજનો સામે આવ્યા છે અને તેમનું કહેવું છે કે, જે ત્રણ લોકોને આતંકી ગણાવીને મારી નાખવામાં આવ્યા છે તે તેમના છોકરાઓ છે. તેઓ રાજૌરીમાં રહેતા હતા અને શોપિયામાં મજૂરી કરવા માટે જતા હતા.
વાત 18 જુલાઈની છે. દરેક એન્કાઉન્ટર પછી નિવેદન આપતી જમ્મુ-કાશ્મીર પોલીસે આ એન્કાઉન્ટર પછી પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, સેનાની 62 રાષ્ટ્રીય રાઈફલ્સના ઈનપુટના આધારે શોપિયાના અમિશરપોરા ગામમાં આતંકીઓની હાજરી હોવાની જાણકારી મળી હતી. ત્યાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ લોકો પર ફાયરિંગ શરૂ કર્યું અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. ત્યારપછી પોલીસ અને CRPF પણ આ ઓપરેશનમાં જોડાઈ હતી. અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરવાળી જગ્યાએથી હથિયારો અને ગોળા બારુદ પણ મળ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મેડિકલ તપાસ પછી ત્રણેયને બારામુલામાં દફનાવી દેવામાં આવ્યા છે.
દરેક એન્કાઉન્ટર પછી કાશ્મીરના આઈજી વિજય કુમાર પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે પરંતુ આ એન્કાઉન્ટર પછી તેમણે કોઈ નિવેદન આપ્યું નહતું. જોકે તેના એક દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહેવામા આવ્યું હતું કે, આતંકીઓ પાસેથી હથિયારો મળ્યા છે. કાશ્મીરની 15 કોર કમાન્ડરના લેફ્ટિનન્ટ જનરલ બીએસ રાજૂએ તો કહ્યું છે કે, આ એન્કાઉન્ટર ફેક નથી અને અમુક પરિવાર આતંકીઓના શબ માંગવા માટે સામે પણ આવ્યા છે.