હેડગેવાર અને પંડિત દીનદયાળને ભણશે એમબીબીએસ વિદ્યાર્થીઓ,મધ્યપ્રદેશ સરકારની લીલીઝંડી
મધ્યપ્રદેશની તમામ મેડિકલ કોલેજમા એમબીબીએસના વિદ્યાર્થીઓને આરએસએસ અને જનસંઘના સંસ્થાપકો અંગે ભણાવવામાં આવશે. જેમા સરકારના કહેવા મુજબ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે દેશના વિચારકોના સિદ્ધાંત અને વેલ્યુ બેઝ્ડ મેડિકલ એજ્યુકેશનને સામેલ કરવામાં આવી રહ્યું છે. જેના માટે જે વિચારકોને કોર્સમાં સામેલ કરવામાં આવી રહ્યા છે તેમાં આરએસએસ સંસ્થાપક ડૉ.કેશવ હેડગેવાર,જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય,આયુર્વેદ વિષારદ મહર્ષિ ચરક,સર્જરીના પિતામહ આચાર્ય સુશ્રુત અને ડૉ.ભીમરાવ આંબેડકરના નામ સામેલ છે. આ બાબતે મધ્યપ્રદેશના ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યું કે તેમણે વિભાગને નોટશીટ મોકલી હતી અને ત્યારબાદ કોર્સમાં આ બધા વિચારકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. તે બધા મેડિકલ એથિક્સ લેક્ચરનો હિસ્સો હશે. મેડિકલ કાઉન્સિલે એથિક્સનો લેક્ચર ઉમેરવાનો નિર્ણય લીધો હતો માટે એ મહાપુરૂષો જેમણે દેશની સંસ્કૃતિની રક્ષા કરી અને સમાજની સેવા કરી તેમના વિશે ભણાવવામાં આવી રહ્યું છે.