માસ્ક ન પહેરનાર! 250 લોકોને મોકલાયા જેલ
કોરોના મહામારીમાં માસ્ક મોં અને નાક પરનું અનિવાર્ય આવરણ બની ગયું છે. કોરોના વાયરસ આમ તો ઘણો જ સુક્ષ્મ હોય છે પરંતુ કોઇ સંક્રમિત વ્યકિતને શરદી, ખાંસી થઇ હોય તો તેનું ઇન્ફેકશન ના ફેલાય તે માટે માસ્ક પહેરવું આવશ્યક છે. માસ્કનું આટલું મહત્વ છતાં કેટલાક લોકો બેદરકારી દાખવીને માસ્ક પહેરતા નથી આવા સંજોગોમાં માસ્ક નહી પહેરવા માટે જુદા જુદા શહેરોમાં દંડ નકકી કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં તો દંડ ઉપરાંત ૨૫૦ લોકોને માસ્ક નહી પહેરવા બદલ જેલની હવા પણ ખાવી પડી છે.
જેલના અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા ૫ દિવસમાં ૨૫૦ લોકો એવા છે જેમને માસ્ક નહી પહેરવાના ગુનામાં લાવવામાં આવ્યા હતા. સરકારની સૂચના અનુસાર સ્નેહલતા ગંજ ક્ષેત્રના એક કમ્યૂનિટી ઇમારતમાં અસ્થાઇ જેલ ઉભી કરવામાં આવી છે. આ જેલમાં એક સાથે ૩૦૦ લોકોને સરળતાથી સમાઇ શકાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી માસ્ક ભંગના ગુના બદલ સીઆરપીસી ધારા ૧૫૧ લગાવવામાં આવી છે. આ ધારા તકેદારીના ભાગરૂપે અઘટિત રોકવા માટેની છે.
જાહેર સ્થળોએ માસ્ક નહી પહેરેલી હાલતમાં પકડાયેલાને ૩ કલાક સુધી જેલમાં રાખવામાં આવે છે અને જામીન પર છોડવામાં આવે છે. તેમની પાસે કોવિડ-૧૯થી બચવા માટેની તમામ સૂચનાઓ અને નિયમો પાળવાની બાહેધરી લેવામાં આવે છે. આ અસ્થાઇ જેલમાં ૧૫ જેટલા પોલીસ કર્મચારીઓને ડયૂટી સોંપવામાં આવી છે અને તમામ હિલચાલ પર નજર રાખવા માટે સીસી ટીવી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દોર શહેર અને જિલ્લા વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહયું છે. માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધી ઇન્દોર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણના કુલ ૭૪,૦૨૯ કેસ બન્યા છે. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર એટલે કે તબક્કો ચાલી રહયો છે ત્યારે હમણાં ૨૪ કલાકમાં ૮૦૫ પોઝિટિવ કેસ બન્યા હતા. આથી માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના કડક નિયમો પળાવવામાં આવી રહયા છે.