દિલ્હીમાથી ઓમિક્રોનનો પ્રથમ કેસ મળ્યો
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેમાં બેંગ્લોર,મુંબઈ અને જામનગર બાદ દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ત્યારે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ છે કે સંક્રમિત વ્યક્તિ તાન્ઝાનિયાથી પરત આવ્યો હતો. એરપોર્ટ પર તપાસ બાદ જાણવા મળ્યું છે કે તે ઓમિક્રોનથી સંક્રમિત હતો. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અગાઉ ગુજરાતનાં જામનગરમાં ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હતો. જેમાં 72 વર્ષના એક વૃદ્ધ ઝિમ્બાબ્વેથી પરત આવ્યા હતા અને તેમનો કોરોના પોઝિટિવ આવતા ત્રણ દિવસ અગાઉ સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા હતા. મુંબઈ અને બેંગ્લોરમાં ઓમિક્રોનના કેસ મળીને અત્યારસુધીમાં દેશમાં પાંચ કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સામે આવતાં પુડુચેરીએ કોરોનાની વેક્સિન લેવાનું ફરજિયાત કર્યું છે. પુડુચેરી પબ્લિક હેલ્થ એક્ટ 1973 મુજબ તમામ લોકોએ વેક્સિનના ડોઝ લેવા પડશે. આ આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસર દંડ કરવામાં આવશે.