દેશમાં પેટ્રોલ-ડીઝલ બાદ એલપીજીના ભાવો ઘટવાની શક્યતાઓ
સરકાર દેશમાં ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ગેસ એજન્સી સંચાલકોને આ સંદર્ભમાં સંકેત મળ્યા હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટયા હોવાથી ગ્રાહકોને તેનો લાભ અપાય તેવી સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળી આવ્યા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ 10 ડોલરનો ઘટાડો થયો હતો, જે એપ્રિલ 2020 પછી મોટો ઘટાડો છે. દેશમાં સરકારી રિટેલ ઓઈલ કંપનીઓ પ્રત્યેક મહિનાની 1લી તારીખે રાંધણ ગેસના ભાવની આંતરરાષ્ટ્રીય ભાવના સ્તરે સમિક્ષા કરે છે.
આથી વર્તમાન ઘટાડાને પગલે બેઠકમાં એલપીજીના ભાવમાં ઘટાડો કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બીજીબાજુ પેટ્રોલિયમ મંત્રાલયે ગેસ એજન્સી સંચાલકોને સંકેત આપ્યા છે કે સરકારે રાંધણગેસ પર રૂ.200ની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે ગ્રાહકોને રૂ.918માં મળનારો એલપીજી સિલિન્ડર રૂ.718માં મળવાની સંભાવના છે.પૂર્વોત્તરના રાજ્યો ઝારખંડ,મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો,અંદમાન અને છત્તિસગઢમાં ગ્રાહકોને રાંધણગેસ પર સબસિડી અપાઈ રહી છે. આ બાબતને જોતાં કેન્દ્ર સરકાર ડિસેમ્બરથી સમગ્ર દેશમાં રાંધણગેસ પર સબસિડી ફરીથી શરૂ કરે તેવી શક્યતાઓ છે.
આ સંદર્ભમાં સરકારમાં સંપૂર્ણપણે સહમતી બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટયા હોવાથી સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ઘટાડી હતી ત્યારે રાંધણગેસના ભાવમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. આ સિવાય દેશમાં આગામી વર્ષની શરૂઆતમાં ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝમાં ઘટાડો કરવાની સાથે સરકાર એલપીજીમાં ભાવ ઘટાડવા તથા સબસિડી શરૂ કરવાનો નિર્ણય લઈ રહી છે.