દેશમાં કોરોના બેકાબુ : વધુ ૨૭,૧૧૪ કેસ
નવી દિલ્હી : ભારતમાં જેમજેમ દિવસો વીતી રહ્યા છે તેમતેમ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સ્થિતિ વધુનેવધુ વણસી રહી છે. દરરોજ આગલા દિવસના કેસોના આંકડાઓમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૮૨૦૯૧૬ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૨૭,૧૧૪ નવા કેસ નોંધાયા છે અને ૫૧૯ લોકોનાં મોત થયાં છે. ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.
બીજી તરફ, ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૨.૭૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૮૭૩ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૫૧૫૩૮૬ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૨૧૨૩ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૨૮૩૪૦૭ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૩૮૪૬૧ કેસ નોંધાયા છે જ્યારે ૯૮૯૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૦૨૬૧ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૮૨૯ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૦૯૧૪૦ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૪૦૧૫૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૨૦૨૪ લોકોના મોત થયા છે.