દેશમાં કોરોનાનો આતંક : દર કલાકે ૧ હજાર કેસ
છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૮૫૦ નવા કેસ, ૬૧૩ દર્દીના મોત : દેશમાં કોરોનાના સંક્રમિતોનો આંકડો વધીને ૬,૭૩,૧૬૫ પર પહોંચ્યો, અત્યાર સુધી ૧૯૨૬૮ લોકોના મોત
ન્યુ દિલ્હી
અનલોક-૨માં અપાયેલી છૂટછાટો જાણે કે સત્તાવાળાઓ માટે મુશીબત બની રહી હોય તેમ અનલોક-૨ના ચોથા દિવસે એટલે કે ૪ જુલાઇ શનિવારની રોજ સમગ્ર દેશમાં ૨૪ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. અન્ય રીતે કહીએ તો દર કલાકે ૧ હજાર અને દર મિનિટે ૧૭ કેસો નોંધાયા હતા. આજે રવિવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં રેકોર્ડબ્રેક સમાન ૨૪,૮૫૦ નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૬,૭૩,૧૬૫ પર પહોંચી ગઈ છે. અને જા આ જ રીતે કેસો વધશે તો એકાદ-બે દિવસમાં કેસોની સંખ્યા ૭ લાખ પર પહોંચી શકે તેમ છે. આ જ સમય ગાળામાં વધુ કુલ ૬૧૩ લોકોના મોત થયા છે.
જેના પગલે કુલ મૃત્યુઆંક વધીને ૧૯,૨૬૮ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૭૭ ટકા પર પહોંચી ગયો છે જે એક રાહત સમાન કહી શકાય. આ ઉપરાંત ૪ જુલાઈના રોજ ૨,૪૮,૯૩૪ લોકોના ટેસ્ટ કરાયા હતા. જ્યારે, મહારાષ્ટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨,૦૦,૦૬૪ પર પહોંચી છે. જ્યારે, દેશની રાજધાની દિલ્હીમાં હોસ્પટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાનો દાવો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે ટ્વીટ કરીને કર્યો હતો. બેંગ્લુરુમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો અને બીજા લોકડાઉનના ભયના કારણે લોકો બેંગ્લુરુ છોડીને પોતાના વતન પરત ફરી રહ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬,૭૩,૧૬૫ પર પહોંચી છે અને ૧૯,૨૬૮ લોકોના મોત થયા છે. ૪,૦૯,૦૮૩ લોકો સાજા થઈ ગયા છે અને ૨,૪૪,૮૧૪ એક્ટવ કેસ છે.