કોલાબામાં વરસાદનો 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 24 કલાકમાં 294 મિમી પાણી ભરાયું; રાજ્યમાં NDRFની 20 ટીમ તહેનાત
મુંબઈમાં મંગળવારથી સતત વરસાદ પડી રહ્યો છે. આ કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં આજે પણ વરસાદની રેડ અલર્ટ છે. રાહત અને બચાવ માટે મહારાષ્ટ્રમાં 20 ટીમો તહેનાત કરવામાં આવી છે. માત્ર મુંબઈમાં જ 5 ટીમો કામ કરી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરેથી ન નીકળવાની અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ઠાકરે સાથે આ બાબતે ચર્ચા કરી હતી. મુંબઈના કોલાબામાં છેલ્લા 12 કલાકમાં 293.8 મિમી વરસાદ થયો છે. આ પહેલા કોલોબામાં ઓગસ્ટ મહિનામાં 1974માં રેકોર્ડ 262 મિમી વરસાદ પડ્યો હતો.
મુખ્યમંત્રી ઠાકરેએ બીએમસી અને એનડીઆરએફના અધિકારાઓની સાથે બેઠક કરી હતી. મુંબઈમાં આખી રાત એનડીઆરએફની ટીમ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરતી રહી. ચાલુ દિવસ હોવાના કારણે આજે પણ લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી પડશે.
ફોર્ટ, ચર્ચગેટ, મરીન ડ્રાઈવ, ગિરગાંવ, બ્રીચ કેન્ડી, પેડર રોડ, હાજી અલી જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ચર્ની રોડમાં વિલ્સન કોલેજની સામે ગિરગાંવ, બાબુલનાથ એરિયા, બાલકેશ્વર એરિયામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. આમાંથી ઘણા વિસ્તારોમાં લાઈટ જતી રહી છે. જેજે હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડમાં પાણી ઘુસી ગયું છે. દક્ષિણ મુંબઈની કેટલીક હોસ્પિટલમાં પાણી ભરાવાના સમાચાર છે. જસલોક હોસ્પિટલની ઈમારતની કેટલીક ટાઈલ્સ પડી ગઈ છે.
બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને મુંબઈમાં વરસાદના પગલે બગડી રહેલી સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાને ઠાકરેને શકય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
ભારે વરસાદના પગલે જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ(JNPT)માં ભારે ભરખમ ક્રેનો પણ ઉંધી વળી ગઈ હતી. આ જ રીતે શેરમાર્કેટની બિલ્ડિંગ પર લાગેલું બોર્ડ પણ તૂટી ગયું હતું. ડી વાઈ પાટીલ સ્ટેડિયમને પણ નુકસાન થયું છે. તેના ઘણા રેલિંગો પણ ઉડી ગયા હતા. દક્ષિણ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમની હાઈમાસ્ટ લાઈટના થાંભલાઓ પણ ભારે પવનના કારણે હલતા જોવા મળ્યા હતા.
NDRF અને રેલવે પ્રોટક્શન ફોર્સ(RPF)એ બે લોકલ ટ્રેનોમાં ફસાયેલા 290 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના સામાજિક ન્યાય મંત્રી ઘનંજય મુંડે સહિત 12થી વધુ લોકો અહીં ઈસ્ટર્ન ફ્રીવે પર ટ્રાફિકમાં લગભગ સાડા ત્રણ કલાક ફસાયા હતા. તેઓ અહીં યશવંતરાવ ચૌહાણ કેન્દ્રમાં NCP નેતાઓની બેઠકમાં જઈ રહ્યાં હતા.