બાળકો માટેની કોરોનાની રસી આગામી સપ્ટેમ્બર માસમાં લોન્ચ થઈ શકે છે- ડો.ગુલેરિયા
ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બાળકોનુ રસીકરણ શરૂ થાય તેવી શક્યતા છે.ત્યારે એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જાણકારી આપતા કહ્યુ હતુ કે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આ એક મહત્વનુ પગલુ હશે.આ સિવાય તેમણે કહ્યુ હતુ કે ભારત બાયોટેક દ્વારા બાળકોની રસી માટે પરીક્ષણ થઈ રહ્યા છે અને તેના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે.ફાઈઝર વેક્સીનને પહેલા આ માટે એપ્રુવલ આપી દેવામાં આવ્યુ છે.સપ્ટેમ્બરથી બાળકોનુ કોરોના રસીકરણ શરૂ થઈ જાય તેવી આશા છે.જ્યારે બીજીતરફ ઝાયડસ કેડિલાએ 12 થી 18 વર્ષના બાળકો માટેનુ પરિક્ષણ પુરુ કરી લેતા 1 જુલાઈએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી.જેના પર હજી કાર્યવાહી ચાલી રહી છે.ભારતમાં 42 કરોડ લોકોને રસી અપાઈ ગઈ છે અને સરકાર આ વર્ષના અંત સુધીમાં તમામ પુખ્ત વયના નાગરિકોનુ રસીકરણ પુરુ કરવા માંગે છે.જોકે ત્રીજી લહેરની ચિંતા વચ્ચે બાળકો માટેની એકપણ વેક્સીનને મંજૂરી અપાઈ નથી.આ જ કારણે લોકો પણ બાળકોને સ્કૂલે મોકલવા માટે ચિંતિત છે.ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે એકવખત બાળકોની રસી ઉપલબ્ધ થઈ જાય પછી સ્કૂલોને તબક્કવાર શરૂ કરવી જોઈએ.તેનાથી બાળકોને વધારે સુરક્ષા મળશે અને વાલીઓમાં પણ ભરોસો વધશે.