કેબિનેટ મંત્રીની પુત્રવધૂએ PM,CMને પત્ર લખ્યો- મને દહેજ માટે હેરાન કરે છે, મને ન્યાય અપાવો
લખનઉમાં લાંબા સમય સુધી સાંસદ રહેલાં અને મધ્યપ્રદેશના પુર્વ રાજ્યપાલ લાલજી ટંડનની પૌત્રવધૂ દિશા ટંડને PM મોદી-CM યોગીને પત્ર લખીને ન્યાય માટેની વિનંતી કરી છે. દિશા એ યોગી સરકારનાં કેબિનેટ મંત્રી આશુતોષ ટંડનના ભાઈની પત્ની છે. દિશાએ દાવો કર્યો છે કે દહેજ માટે તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પોલીસ તેની FIR પણ નોંધી રહી નથી, કારણ કે આશુતોષ ટંડનના રાજકીય દબદબા સામે દિશા કશું જ નથી. દિશાએ શનિવારે મોડી સાંજે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે મંત્રીના પરિવાર પર અત્યાચારનાં આરોપ લગાવી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને લખનઉ પોલીસને પણ ટેગ કરતા તેમણે પોતાની પીડા વ્યક્ત કરી છે. દિશાના લગ્ન 11 ડિસેમ્બર 2019ના રોજ અમિત ટંડનના પુત્ર આયુષ ટંડન સાથે થયા હતા. અમિત ટંડન કેબિનેટ મંત્રી આશુતોષ ટંડનનો ભાઈ છે. દિશાએ કહ્યું, ‘હું દિશા ટંડન લાલજી ટંડનની પૌત્રવધુ છું. મને આશુતોષ ટંડનના પરિવાર દ્વારા દહેજ માટે હેરાન કરવામાં આવી રહી છે. મેં ઘણી જગ્યાએ આ અંગે ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પદ પર રહેવાના કારણે મારી વાત સાંભળવામાં આવી રહી નથી. હું મોદીજી અને યોગીજીને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મને ન્યાય મળે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
દિશા ટંડને જણાવ્યુ કે, હું એક મધ્યમ વર્ગના ખેડૂતની દીકરી છું અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. મને કહેવામાં આવ્યું કે અમારા ઘરે જે પણ પુત્રવધૂઓ આવે છે તે આટલુ-આટલુ દહેજ લાવે જ છે. તેમણે વધુમાં કહ્યું કે બાબુજી મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા અને મોટાભાગનો સમય ભોપાલમાં રહેતા હતા. હું સંયુક્ત પરિવારની વહુ છું. આમાં સમય-સમયે આ બધી વસ્તુઓની માંગણી કરાતી હતી કે બધી વહુઓ આ વસ્તુઓ લાવી છે અને તુ લાવી નથી, તો અમારે સમાજમાં નીચું જોવું પડે છે. મોટો આરોપ લગાવતા તેણે કહ્યું કે તે ધમકીઓ પણ આપતા હતા અને તેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. તે તેમની પત્નીને પણ મને મારવા માટે કહેતા હતા.