બુલેટ ટ્રેન પ્રોજેકટ અંગેની છુટછાટની દરખાસ્ત મહારાષ્ટ્રના ગવર્નરે ફગાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન પ્રોજેકટને છુટછાટો આપવાનુ મહારાષ્ટ્રના રાજયપાલે નકારી કાઢયું છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રાજ્યના પાલઘર જીલ્લા સ્થિત જમીન સંપાદીત કરવા માટે આઠ ગ્રામ પંચાયતોની ફરજીયાત મંજુરીની જોગવાઈ રદ કરવા અંગે રાજય સરકારે દરખાસ્ત કરી હતી. પરંતુ મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશીયારીએ તે ફગાવી દીધી હતી. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે મેળવવાની થતી જમીન આઠ ગામો હેઠળ આવે છે અને તેમાં પંચાયત ધારો લાગુ પડે છે. આ જમીન સંપાદન માટે ગ્રામપંચાયતોની મંજુરી ફરજીયાત છે. ત્યારે રાજયના મહેસુલ વિભાગે આ જોગવાઈ રદ કરીને છુટછાટો આપવાની દરખાસ્ત કરી હતી. પરંતુ રાજયપાલ દ્વારા તેને મંજુરી આપવામાં આવી નથી. જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનની અપીલ બાદ સરકારે 6 માર્ચ 2019ના રોજ દરખાસ્ત મોકલી હતી. મહારાષ્ટ્રના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ નીતીન કારીરે કહ્યુ હતુ કે રાજયપાલે દરખાસ્તને સ્વીકૃતિ આપી નથી પ્રક્રિયા પુર્ણ કરવા માટે ગ્રામપંચાયતોની મંજુરી મેળવાશે.