કોરોનાની સાથે હવે ટી.બી.પણ ફેલાઇ રહ્યો છે, ડોક્ટરો માટે આવા દર્દીને સાજો કરવા મુશ્કેલીરૂપ
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસમો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ વડોદરામાં કોરોનાના વધતા કેસની વચ્ચે ડોક્ટરો માટે નવી ચિંતા ઉભી થઇ છે. કેટલાક દર્દીઓ કોરોનાની સાથે ટી.બી.ની બીમારીના પણ શિકાર બની રહ્યા છે. કોરોના વાઇરસથી ફેલાતો રોગ છે જ્યારે ટી.બી. બેક્ટેરીયાથી ફેલાય છે એટલે આવા દર્દીને સાજો કરવા માટે તબીબે બે મોરચે લડવુ પડી રહ્યું છે.
કોવિડ કોર્ડિનેટર ડો.બેલીમે કહ્યું હતું કે ‘વડોદરામાં કોરોનાની બીજી લહેર દરમિયાન એવું ધ્યાન ઉપર આવ્યુ છે કે કોરોનાના ૧૦ ટકા દર્દીઓ એવા આવી રહ્યા છે જેમને કોરોના સાથે ટી.બી. પણ હોય છે. આ એવા દર્દીઓ છે કે જેમને અગાઉ ટી.બી. નહોતો પરંતુ કોરોનાની સારવાર દરમિયાન જ ખબર પડી કે ટી.બી. થયો છે. કોરોનાની પ્રથમ લહેરમાં પણ આવા દર્દીઓ આવતા હતા પરંતુ તેની સંખ્યા માંડ એક કે બે ટકા હતી. બીજી લહેરમાં તે ૧૦ ટકા એટલા માટે છે કે હવે ઠંડી મોસમ છે અને આ મોસમમાં ટી.બી. ફેલાય છે.
ડો.બેલીમે ઉમેર્યુ હતુ કે ‘બન્ને રોગ ફેફસાના છે. બન્ને રોગના લક્ષણો લગભગ મળતા આવે છે. ફરફ ફક્ત એટલો છે કે કોરોનામાં સુકી ખાંસી હોય છે જ્યારે ટી.બી.માં કફના ગળફા નીકળે છે. ડોક્ટરો માટે આવા દર્દીને સાજો કરવો મુશ્કેલ એટલા માટે બને છે કે ફેંફસામાં એક સાથે વાઇરલ અને બેક્ટેરિયલ એમ બે ઇન્ફેક્શનથી ફેંફસાની તાકાત ઘટી જાય છે, દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટિ વાયરલ એમ બે પ્રકારની સારવાર કરવી પડે છે.
એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે જો કોરોનાના દર્દીમાં ટી.બી.ના લક્ષણ દેખાય તો તેને કોરોના વોર્ડમાંથી ટી.બી.વોર્ડમાં લઇ જવાતો હતો અને ત્યાં તેના ગળફાનું પરિક્ષણ થયા બાદ નીદાન થતુ હતુ કે દર્દીને ટી.બી. છે કે નહી. આ વ્યવસ્થામાં કોરોનાના દર્દીને ટી.બી. વોર્ડમાં લઇ જવાથી ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ડર રહેતો હતો. કોરોનાની બીજી લહેરમાં આવા દર્દીઓની સંખ્યા વધવા લાગતા એસએસજી હોસ્પિટલ દ્વારા કોવિડ વોર્ડમાં જ ‘કફ કોર્નર’ની શરૂઆત કરવામાં આવી છે એટલે કોરોનાના દર્દીઓનું ટી.બી.સંબંધીત પરિક્ષણ કોવિડ વોર્ડમાં જ હવેથી થશે.