રાહતઃ કોરોના પોઝિટિવના દૈનિક કેસોમાં મોટો ઘટાડો
ન્યુ દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના ફેલવામાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૫,૭૨૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોનો આંક ૭૫ લાખને પાર થઈ ચુક્યો છે. તો અત્યાર સુધીમાં ૧.૧૪ લાખ લોકોએ કોવિડ-૧૯ સામે લડતાં જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૭૫,૫૦,૨૭૩ પહોંચી છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૬૬ લાખ ૬૩ હજાર ૬૦૮ લોકો સાજા પણ થઇ ચુક્યો છે. હાલ ૭,૭૨,૦૫૫ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૪,૬૧૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૮ ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૫૦,૮૩,૯૭૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૮,૫૯,૭૮૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ભારતમાં સૌથી વધુ કોરોના વાયરસનો પ્રકોપ મહારાષ્ટ્રમાં જાેવા મળે છે.