જેએનયુ :૧૦૦ જેટલા હુમલાખોરોએ ૩ કલાક સુધી જેએનયુમાં આતંક મચાવ્યો હતો
નવી દિલ્હી,
દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે થયેલી હિંસાની અસર આજે પણ જોવા મળી શકે છે. આક્રોશિત વિદ્યાર્થીઓ દેખાવો કરી શકે છે. ગઈકાલે નકાબપોશ હુમલાખોરોએ લાઠી અને ધોકા સાથે હુમલો કર્યો જેમા ૩૦ જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયેલા. ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે જેએનયુ ઉપરાંત દેશની અનેક યુનિવર્સિટી, કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડીયા ખાતે આજે દેખાવો થયા છે તો પૂનામાં દેખાવો થયા છે. આ ઉપરાંત દેશના અનેક ભાગોમાં હિંસાનું વિરૂદ્ધ છાત્રો રસ્તા પર ઉતરી આવ્યા છે તો આ બાબતને લઈને રાજનીતિ પણ થઈ રહી છે. જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ગઈકાલે રાત્રે નકાબપોશ લોકોએ ભારે આતંક મચાવ્યો હતો. ૧૦૦ જેટલા હુમલાખોરોએ ૩ કલાક સુધી કેમ્પસને માથુ લીધુ હતું. આ હુમલાખોરોએ ૭ હોસ્ટેલોને નિશાના પર લીધી હતી. શિક્ષક અને છાત્રો પર ધોકા, લાઠી અને લોઢાના સળીયાથી પ્રહારો કર્યા હતા. જેમાં ૩૦થી વધુને ઈજા થઈ હતી. આ ઘટના જોનારાઓના કહેવા મુજબ બધા હુમલાખોરો બહારના હતા અને સંઘના છાત્ર એકમ એબીવીપી સાથે જોડાયેલા હતા. આ લોકોનુ કહેવુ છે કે પોલીસે હિંસા રોકવા કોઈ પ્રયત્નો કર્યા ન હતા. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આ મામલાની તપાસના આદેશો આપ્યા છે. જો કે એબીવીપીનો દાવો છે કે હિંસામાં અમારો કોઈ હાથ નથી અને આ હુમલા વામપંથી સંગઠનોએ કર્યો છે. બીજી તરફ વિપક્ષોએ ફાંસીવાદી પરિબળને દોષીત ઠેરવી હિંસાની નિંદા કરી છે. આ હુમલો ગઈકાલે સાંજે થયો હતો જેના દેશવ્યાપી પડઘા પડયા છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ન્યાયીક તપાસની માંગણી કરી છે તો બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવુ છે કે અમને ફરીયાદ મળી છે અને ટૂંક સમયમાં એફઆઈઆર નોંધશું. સંભવિત દેખાવોને ધ્યાનમાં રાખી યુપી સહિત દેશના અનેક ભાગોમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે