કોરોના વાઈરસઃવુહાનથી વધુ ૩૨૩ ભારતીયો દિલ્હી પહોંચ્યા, કેરળમાં બીજો પોઝિટિવ કેસ નોંધાયો; ચીનમાં ૨૪ કલાકમાં ૪૫ના મોત
નવી દિલ્હીઃ ચીન માટે અભિશાપ બનેલા કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભારત સરકાર અહીં ફસાયેલા તેમના નાગરિકોને પરત બોલાવી રહી છે. શનિવારે એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ ચીનથી ૩૨૪ ભારતીયોને લઈને દિલ્હી પહોંચી હતી. આ ઉપરાંત રવિવારે પણ એર ઈન્ડિયાનું વધુ એક વિમાન ૩૨૩ ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું છે. તેમાં ૭ માલદિવના સિટિઝન્સ પણ છે. માલદિવના વિદેશ મંત્રી અબ્દુલા શાહિદે કહ્યું છે કે, અમારા નાગરિકો થોડા દિવસ દિલ્હી કેમ્પની દેખરેખમાં રહેશે. આ દરમિયાન કેરળમાં બીજો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે.
કેરળના સ્વાસ્થય મંત્રી કે કે શૈલજાએ કહ્યું કે, પીડિત યુવકને અલાપુઝા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. હજી સુધી અમને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી પાસેથી તેનો રિપોર્ટ નથી મળ્યો. એવી શક્યતા છે કે, તે કોરોના વાઈરસથી પીડિત છે. પરંતુ અમે રિપોર્ટ મળ્યા પછી જ ખુલાસો કરી શકીશું.
ચીનમાં પણ વાઈરસના કારણે મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ચીન સરકાર તરફથી રવિવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ લોકોના મોત થયા છે. ચીનમાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા ૩૦૦ને પાર થઈ ગઈ છે. જ્યારે દેશમાં કુલ ૧૨,૦૦૦ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે.
દિલ્હી પહોંચેલા યાત્રીઓ ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે
શનિવારે દિલ્હી પહોંચેલા ૩૨૪ યાત્રીઓમાંથી ૧૦૪ને દિલ્હીના છાવલામાં આવેલી આઈટીબીપી સેન્ટર અને ૨૨૦ને સેના દ્વારા માનેસરમાં તૈયાર કરવામાં આવેલી શિબિરમાં રાખવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કોરોના સામે લડવા માટે કરવામાં આવતા પ્રયત્નોમાં ચીન સરકાર અને જનતાને સમર્થન આપ્યું છે. તેમણે શુક્રવારે ચીનના વિદેશ મંત્રી યાંગ યી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે વુહાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચીને આપેલા સહયોગનો આભાર માન્યો હતો.