ગંજબજારમાં ખેત પેદાશોની જણસ લઇ આવતા ખેડૂતો ડિસ્કો રોડથી ત્રાહિમામ
ઊંઝા હાઈવે પર બની રહેલ નવિન ઓવરબ્રિજની બન્ને સાઈડમાં બનાવેલ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં વરસાદી સિઝનને લઈને લોકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ ગંજબજારમાં ખેત પેદાશોની જણસી લઇ આવતા ખેડૂતો આ ડિસ્કો રોડથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. આ બાબતે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ એ કાર્યપાલક ઈજનેર, રાજ્ય માર્ગ યોજના મહેસાણાને લેખિત રજુઆત કરી સત્વરે સર્વિસ રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે.
એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ઊંઝા હાઇવે પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. વરસાદને લઈ ઊંઝા થી મહેસાણા તરફ તેમજ ઊંઝા થી પાલનપુર તરફના બન્ને બાજુના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને લઈ ઊંઝા માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોના ખેતપેદાશોનો માલની બોરીઓ પડી જવાના બનાવો બની રહ્યા છે.
ગોકળગતિએ કામ ચાલી રહ્યું હોવાની બુમરાડ ઉંઝા ખાતે ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોવાની વાહન ચાલકોમાં બુમરાણ ઉઠવા પામી છે અને વરસાદી માહોલ સર્જાતાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. તેમજ ડાઈવર્ઝન આપેલ રસ્તો બિસ્માર હાલતમાં મુકાયો છે અને ઠેર ઠેર મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને પગલે દિવસ દરમિયાન ટ્રાફિકના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે.
દ્વિચક્રી વાહન ચાલકોને જીવનું જાેખમ
લોકોમાં ચર્ચાતી વાતો મુજબ, તંત્ર અને કોન્ટ્રાક્ટરની કથિત લાપરવાહીને કારણે વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. વાહન પલટી ખાય તો તેને માટે જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વરસતા વરસાદમાં રાત્રીના સમયે આ મોટા ખાડાઓને લીધે દ્વિચક્રી વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે અને તેમને જીવનું જાેખમ સતાવી રહ્યું છે.