મહેસાણામાં સાધુના વેશમાં આવી ૨ શખ્સો ૨.૫૧ લાખની છેતરપિંડી કરી ફરાર
કોરોના કહેર વચ્ચે મોઢેરામાં બાવા બની આવેલા બે શખ્સો કુલ ૨.૫૧ લાખની છેતરપિંડી કરી ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ગત ૨૨ તારીખે ફરીયાદી બાઇક લઇ મોઢેરાથી બેચરાજી તરફ જતાં દરમ્યાન સફેર કારચાલકે શંકર ભગવાનનું મંદીર ક્યાં તેમ કહી કાર થોભાવી હતી. જેમાં કારમાં બેસેલા બાપુએ તેને વિશ્વાસમાં લઇ અને ૨૦ હજારની વીંટી અને ૮૬ હજારનો સોનાનો દોરો લઇ ફરાર થઇ ગયા હતા. જોકે અગાઉ પણ દેલવાડાના વ્યક્તિ પાસેથી પણ આજ રીતે ૧.૪૫ લાખની સોનાની ચેન લઇ આ શખ્સો ફરાર થઇ ગયા હતા. જેથી ફરીયાદીએ આરોપીઓ સામે કુલ ૨.૫૧ લાખની છેતરપિંડીની ફરીયાદ મોઢેરા પોલીસ સ્ટેશને લખાવી છે.
મહેસાણા જીલ્લાના મોઢેરા પોલીસ સ્ટેશને બાવા બની આવેલા ઇસમોએ ૨.૫૧ લાખની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. શહેરની સોમનાથ રોડ પરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં જયંતિભાઇ ઇશ્વરભાઇ સોલંકી ગત ૨૨ તારીખે સવારે ૧૧ વાગ્યા આસપાસ બાઇક ઉપર મોઢેરાથી બેચરાજી જવા નિકળ્યા હતા. આ દરમ્યાન મોઢેરાથી થોડેક દૂર એક સફેદ કલરની નંબર વગરની ગાડીવાળા શખ્સે તેમને થોભાવી શંકર ભગવાનના મંદીર બાબતે પુછપરછ કરી હતી.
આ દરમ્યાન ફરીયાદી કહેલ કે આટલામાં ક્યાંય શંકર ભગવાનનું મંદીર નથી. જેથી કારચાલકે કહેલ કે અંદર બાપુ બેઠા છે જે તમને મળવા માંગે છે. જેથી જયંતિભાઇ તેઓ મળવા જતાં અંદર નિવસ્ત્ર હાલતમાં કોઇ બાપુ બેઠા હતા. બાપુએ તેને વિશ્વાસમાં લઇ અને હું પૈસા લેતો નથી માત્ર એક રૂપિયો આપો. જેથી ફરીયાદી એક રૂપિયો આપતાં તેને કહેલ કે તમે મને શું આપશો ? તેમ કહી મોલબાઇ માંગતા ફરીયાદીએ આપ્યા બાદ પરત આપી દીધો હતો. બાદમાં શર્ટ માંગતાં શર્ટના બટન ખોલી આપે તે પહેલાં જ બાપુ બની આવેલા શખ્સે ના પાડી હતી. આ દરમ્યાન ફરીયાદીના હાથમાં પહેરેલી સોનાની સાત ગ્રામની વીંટી જેની ઉપર અંગ્રેજીમાં જે લખ્યુ હતુ તે કિં.રૂ.૨૦,૦૦૦ અને આશરે અઢી તોલાનો સોનાનો દોરો જેની કિ.રૂ.૮૬,૦૦૦ની માંગ કર્યા બાદ દોરો અને વીંટી લઇ તેઓ ફરાર થઇ જતાં ફરીયાદી હેબતાઇ ગયા હતા.
ઘટના બાદ જયંતિભાઇએ તેમનો પીછો કર્યો હતો પરંતુ તેઓ નહિ મળતાં દેલવાડા પહોંચ્યા હતા. જ્યાં બસ સ્ટેન્ડ નજીક દરબાર રાયભણસંગ મોતીજીની હોટલે ગયા બાદ તેમને ઘટના વિશે અવગત કર્યા હતા. જોકે રાયભણસંગે જણાવ્યુ હતુ કે, મારી સાથે પણ આ જ પ્રમાણે આશે વીસેક દિવસ પહેલા આવી જ કારમાં એક ડ્રાઇવર અને એક નાગો બાવો મારી હોટલે આછી અને મારી સોનાની ચેન સાડા ચાર તોલા કિ.રૂ.૧,૪૫,૦૦૦ની લઇ ફરાર થઇ ગયા હતા. જેને લઇ બંને વ્યક્તિ ફરીયાદ નોંધાવવા મોઢેરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બંને ઘટનાઓમાં આરોપીઓએ જયંતિભાઇ પાસેથી ૧,૦૬,૦૦૦ અને રાયભણસંગ પાસેથી ૧,૪૫,૦૦૦ની છેતરપિંડી કરી હતી. ઘટનાને લઇ ફરીયાદી જયંતિભાઇ ઇશ્વરભાઇ સોલંકીએ અજાણ્યા બે ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. મોઢેરા પોલીસે આ ઇસમો સામે આઇપીસીની કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.