મહેસાણામાં 5 વર્ષ બાદ આજથી સિટીબસ દોડશે, 8 રૂટમાં સવારના 6 થી રાતના 10 સુધી ચાલુ રહેશે
મહેસાણા શહેરમાં સિટીબસ સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તોરણવાળી માતા ચોકમાંથી સિટીબસ સેવાનો પ્રારંભ કરાવશે. જેમા પ્રથમ તબક્કામાં 8 સીએનજી સિટીબસ શહેરના 8 રૂટોમાં દોડાવાશે. નગરપાલિકા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીના માધ્યમથી શહેરના 8 રૂટ ઉપર સિટી બસનું સંચાલન કરશે. જેમાં દર 500 મીટરે એક સિટીબસ સ્ટેન્ડ રાખવામા આવ્યુ છે. એક માસ સુધી 8 રૂટ ઉપર સિટીબસ દોડાવ્યા બાદ દરેક વોર્ડના શહેરીજનોએ સૂચન મેળવી, અભ્યાસ કર્યા બાદ રૂટમાં સુધારા વધારા કરાશે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ,કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ,શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલ અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલે ફાયર સ્ટેશન ખાતે સિટી બસોનું નિરીક્ષણ કરી કાર્યક્રમ અંગે સમીક્ષા કરી હતી. આમ આ પ્રસંગે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યુ હતુ કે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત રાજ્ય સરકારે સિટીબસ સેવા શરૂ કરનાર એજન્સીને પ્રતિ કિલોમીટરે મિનિમમ રૂ.25 આપવાનું નક્કી કરી તેના 50 ટકા રાજ્ય સરકાર ગ્રાન્ટ સ્વરૂપે પાલિકાને ચુકવશે. સિટી બસમાં મહિલાઓ અને દિવ્યાંગો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. જ્યારે સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓ માટે સરકારના ધારાધોરણ મુજબ કન્સેશન અપાશે. વર્તમાનમા લઘુત્તમ ભાડુ રૂ.5 અને મહત્તમ ભાડુ રૂ.10 રખાયું છે. સવારના 6-00 કલાકથી રાત્રિના 10-00 કલાક સુધી સિટી બસો ચાલુ રહેશે. ત્યારે શહેરમાં તોરણવાળી ચોકમાં સિટીબસ સ્ટેન્ડ અને પૂછપરછ કેન્દ્ર શરૂ કરાયું છે. જ્યારે લકી પાર્ક સોસાયટી,રાધનપુર રોડ પર દ્વારકાપુરી ફ્લેટ પાસે અને માનવ આશ્રમ ચોકડી પાસે સિટી બસ સ્ટેન્ડ નિર્માણ કરાયાં છે. તોરણવાળી માતાજીથી ગંજબજારની પાછળના ભાગે બ્રહ્માણી માતાજીના મંદિર સુધીનો પ્રથમ રૂટ નક્કી કરાયો છે. આ રૂટની બસમાં બેસી નીતિનભાઈ બ્રહ્માણી માતાજીના મંદિર સુધી જાય તેવી શક્યતા છે.