જોટાણાના 5 ગામમાં સડેલી દાળ અપાતાં હોબાળો
જોટાણા તાલુકાના 5 ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાં સડેલી, ફૂગ લાગેલી ચણાની દાળના વિતરણ સામે ભારે રોષ પ્રસર્યો છે. જોટાણા તાલુકામાં લાંબા સમયથી પડી રહેલી ચણાની દાળનું ગરીબોમાં વિતરણ થયું હોવાની ચોંકાવનારી હકિકત પ્રકાશમાં આવી છે. જેમાં સડેલી ચણાની દાળ ઘરે લઇ જવાના બદલે ગ્રાહકોએ ફેંકી દીધી છે. કસલપુરા ગામના રાહુલભાઇ પટેલે કહ્યું કે, અમારા ગામમાં છેલ્લા બે દિવસથી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ થઇ રહેલી ચણાની દાળમાં ગઠ્ઠા પડી ગયા છે.
તેમજ ફૂગ વળી જવાની સાથે સડી ગઇ છે.સસ્તા અનાજના દુકાનદારને કહ્યું ત્યારે તેમણે આગળથી ચણાની દાળ આવી તે આપું છું, મારા ઘરે કંઇ પેકિંગ કરીને આપતો નથી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.તપાસમાં મોદીપુર, મેમદપુર સહિત પાંચેક ગામોમાં જૂની પડેલી સડેલી ચણાની દાળનું વિતરણ થયું છે. આ અંગે જોટાણા કચેરીમાં રજૂઆત કરતાં યોગ્ય પ્રત્યુતર મળ્યો ન હતો. જ્યારે સસ્તા અનાજના દુકાનદાર બળદેવભાઇએ કહ્યું કે, બે મહિના પહેલાંની જૂની 67 કિલો જે ચણાની દાળ પડી હતી તે જ આપી, બાકી તમામને ચણા આપ્યા છે. ઓનલાઇન સ્ટોક આવતો હોઇ પાછળ ખૂટે તો શું કરું?