અવસર પાર્ટીપ્લોટથી રાધે એક્ઝોટીકા રોડ પર ગેટ, દીવાલ, ઓટલાનાં દબાણો તોડી પડાયાં
મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટીપ્લોટથી રાધનપુર રોડ પર રાધે એક્ઝોટીકા સુધીનો રસ્તો પહોળો કરવા હાથ ધરાયેલી દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણતાએ છે. શુક્રવારે નગરપાલિકાની ટીમ દ્વારા ત્રણ સોસાયટી અને એક સમાજની વાડીના રસ્તા પૈકીની જગ્યામાં આવતા ગેટ, કમ્પાઉન્ડ વોલ અને ઓટલાનાં દબાણ જેસીબીથી તોડી પાડ્યા હતા.
જ્યારે પ્રાર્થના રેસીડેન્સી પાસે સ્વામિનારાયણ મંદિરના રસ્તા પૈકી આવતી ગ્રીલ, દીવાલ અને ઓટલાનું પાલિકાએ કરી આપેલા માર્કિંગ મુજબ શનિવારથી મંદિર તરફથી સ્વયં દૂર કરવાની કામગીરી કરાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
નગરપાલિકા દ્વારા વ્રજભૂમિ સોસાયટીમાં જવાના રસ્તા પાસેની દીવાલ, 15 ગામ સમાજ વાડીની કમ્પાઉન્ડ વોલ, સૌંદર્ય ક્રિસ્ટલ સોસાયટીની રસ્તામાં ક્રોસમાં આવતી કમ્પાઉન્ડ વોલનો ભાગ, પ્રાર્થના રેસીડન્સીની કમ્પાઉન્ડ વોલ અને ગેટ જેસીબીથી દૂર કરાયો હતો.