મહેસાણાના ગોઝારિયાથી પાટણ સુધી ફોરલેન નેશનલ હાઇવે બનશે
સરકાર મહેસાણાના ગોઝારિયાથી પાટણ સુધી 79.150 કિલોમીટરના રસ્તાને ફોરલેન નેશનલ હાઇવેમાં રૂપાંતરીત કરવા જઇ રહી છે. આ માટે હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઇ છે. નેશનલ હાઇવેના નિર્માણમાં નાનાં-મોટાં 24 બ્રિજ અને અંડરપાસના નિર્માણ સહિતની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં ટેકનિકલ કારણોસર આ ટેન્ડર રદ કરાયું હતું. મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામથી પાટણના ખાન સરોવર સુધી 79.150 કિલોમીટર લાંબો રસ્તો નેશનલ હાઇવેમાં રૂપાંતરિત થવા જઇ રહ્યો છે.
નેશનલ હાઇવેનો રૂટ જોઇએ તો, મહેસાણાના ગોઝારિયાથી રામપુરા સર્કલ, પાલાવાસણા સર્કલ, શિવાલા સર્કલ, પાંચોટ સર્કલ, ધિણોજ, લણવા, ચાણસ્મા થઇ પાટણ શહેરના ખાન સરોવર નજીક પૂર્ણ થશે. 79.150 કિલોમીટરના ફોરલેન હાઇવે પર 60 મીટરથી વધુ લાંબા 4 મોટા બ્રિજ બનશે. જ્યારે 60 મીટરથી નાનાં 16 બ્રિજનું નિર્માણ કરાશે. આ રૂટમાં 4 ઓવરબ્રિજ અથવા અંડરપાસ બનાવાશે. આ સાથે આ રૂટમાં 75 નાળાં રહેશે. સમગ્ર રૂટમાં બસ સેવા માટે 39 સ્પોટ તૈયાર કરાશે. તેમજ 15 મહત્વનાં જંકશન રહેશે. આ રોડ બનતાં ટ્રાફિકનું ભારણ ઘટશે.