કોરોનાને લઇ દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત, દૂધના રાજકારણમાં ઊભરો
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાલ વધી રહેલા કોરોના સંક્રમણને લઇ જિલ્લાના નાગરિકોના જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે ચાલુ રાખવા ઇષ્ટ જણાતી ન હોઇ જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સ્થગિત કરવાનો હુકમ કરાયો છે. બીજી તરફ સુરત અને અમદાવાદમાં કોરોના વકર્યો હોવા છતાં ત્યાં સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવા સુધીની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે એક-બેના કહેવાથી ડેરીમાં ચૂંટણી અટકાવી વહીવટદાર નીમ્યા પછી ચૂંટણીમાં વિરોધીઓને લાભ અપાવવાનું આ રાજકીય ષડયંત્ર જણાતું હોવાનો સનસનીખેજ આક્ષેપ ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીએ કર્યો છે, સાથે ચૂંટણી અટકાવાશે તો કોર્ટનો આશરો લેવાનો હુંકાર પણ કર્યો હતો. ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા અને ઘી ભેળસેળ મામલે તંત્રની કાર્યવાહી વચ્ચે દૂધનું સહકારી રાજકારણ ગરમાયું છે.
ભેળસેળયુક્ત ઘી અને ચૂંટણી સ્થગિત મામલે બુધવારે વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરી અને એમડી નિશીથ બક્ષીએ પ્રેસમીટ કરી હતી. જેમાં મોંઘજીભાઇએ કહ્યું કે, રાજસ્થાનથી ટેન્કર પકડાયા પછી મહેસાણા ડેરીના પેકેજિંગમાંથી ફેડરેશન 274 સેમ્પલ લઇ ગયું, જે પૈકી 50 ટકા ઓકે, 50 ટકા નોટ ઓકે રિપોર્ટ કર્યો છે. કેટલા ટકા પામઓઇલ અંગે તેમણે રિપોર્ટ મોકલ્યો નથી. મહેસાણા દૂધ સંઘ સંકુલમાં 24 કલાક ફેડરેશનના બે અધિકારીની હાજરીમાં જ ઘી પેકેજિંગ થાય છે. સુરત, અમદાવાદમાં કોરોના વકર્યો છતાં ચૂંટણીનાં ફોર્મ ભરાય છે.
જ્યારે મહેસાણામાં ચૂંટણી પ્રક્રિયા સ્થગિતનો હુકમ કરાયો હોઇ કાયદાને માન આપી પ્રક્રિયા સ્થગિત કરાશે. અમે ચૂંટણીની માંગણી કરીશું, ચૂંટણી રોકવાનો પ્રયાસ કરાશે તો કોર્ટનો આશરો લઇશું. એક-બેના કહેવાથી પ્રક્રિયા સ્થગિત એ રાજકીય ષડયંત્ર નહીં તો શું કહેવાય. ચૂંટણીને ત્રણ-ચાર મહિના બાકી છે, ત્યાં ચાલુ નિયામક મંડળને હટાવી રાજકીય દ્વેષભાવ રાખી વહીવટદાર નીમી ચૂંટણી થાય એમાં વિરોધપક્ષને લાભ કરવાનું હોય એવું દેખાય છે.
ડેરી સંઘની તૈયાર થયેલી મતદાર મંડળની અંતિમ યાદી સામે મહેસાણા અને પાટણ જિલ્લાની દૂધ મંડળીઓ તરફથી વિશાળ સંખ્યામાં વાંધા અરજી કલેકટર કચેરીએ મળી હતી. મતદાર મંડળની યાદી આખરી કરી કચેરીએ મોકલાવ્યા બાદ ચૂંટણી જિલ્લા કલેકટરની મંજૂરી મેળવીને જ યોજવા માટેના જાહેરનામા અનુંસધાનની સૂચનાને અનુસર્યા સિવાય સહકારી મંડળીઓ પાસેથી ઠરાવ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ તબક્કે ચૂંટણી પ્રક્રિયા પહોંચી હતી.
આ દરમિયાન દૂધસાગર ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર એચ.કે. પટેલ સમક્ષ આ ચૂંટણી પ્રક્રિયા અંગે કચેરીમાંથી કોઇ મંજૂરી મેળવેલી છે કે કેમ તેવા બે સવાલ સાથે રજૂઆત થઈ અને વિશાળ સંખ્યામાં દૂધ મંડળીના સભ્યો સંઘ ધરાવતું હોઇ કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાને લઈ ચૂંટણી યોજવા માટે પ્રક્રિયાને જિલ્લાના નાગરિકોના જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે ચાલુ રાખવું ઉચિત ન લાગતાં જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરતો હુકમ કરાયો છે.
ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીએ કહ્યું કે, રાજસ્થાનમાં પકડાયેલા ટેન્કર મામલે પુન્હા પ્લાન્ટના હેડ, મહેસાણાના ક્વોલિટી અધિકારી અને ડેરીના બે ડીઇને ડી ગ્રેડ કરાયા છે. ત્યાંના ટ્રાન્સપોર્ટર કે ફેક્ટરીના જે કોઇની જવાબદારી આવશે તેની સામે પગલાં લેવા ઠરાવ કર્યો છે. ટ્રાન્સપોટર્સ પાસેથી ટ્રકમાં જથ્થા મુજબ રૂ.81,81,082 વસુલવાની કાર્યવાહી કરાઇ છે, ડેરીના ગ્રાહકોને નુકસાન થવા દઇશું નહીં.