મહેસાણામાં વીજળી પડતાં ૩નાં તો અમરેલીમાં ડૂબી જતાં ૨ લોકોનાં મોત
મહેસાણા : સપ્ટેમ્બર મહિનાનો પહેલો રવિવાર ગુજરાત માટે ભારે સાબિત થઈ રહ્યો છે. બે અલગ-અલગ ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાને કારણે ૩ લોકોનાં મોત નિપજ્યા છ, તો ૩ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમરેલી જિલ્લામાં ડૂબી જવાને કારણે બે લોકોનાં મોત નિપજ્યા હતા.
ઉત્તર ગુજરાતનાં મહેસાણા જિલ્લાના પઢારિયા ગામે પાંચ લોકો પર વીજળી પડી હતી. વીજળી પડવાને કારણે ૨ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત થયેલાં ૩ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ખારી દાંતીયા ગામે વીજળી પડતાં બકરાં ચરાવતાં એક યુવકનું મોત નિપજ્યું હતું.
જ્યારે અમરેલીના લાઠીના દૂધાળાના તળાવમાં ડૂબી જવાને કારણે બે લોકોનાં મોત નિપજ્યા હતા. તળાવમાંથી માલઢોરને બહાર કાઢવા જતાં ૧૬ વર્ષનો એક કિશોર ડૂબવા લાગ્યો હતો. આ કિશોરને બચાવવા માટે એક આધેડ વયના યુવાને પણ તળાવમાં ભૂસકો મારી દીધો હતો. પણ તે પણ કિશોરની સાથે તળાવમાં ડૂબી જતાં બંનેનાં મોત નિપજ્યા હતા.