પતિએ શંકા રાખી પત્નિની હત્યા નિપજાવતા ચકચાર
હારીજ તાલુકાના ગામે પતિએ આવેશમાં આવી માનસિક સંતુલન ગુમાવી પત્નિની હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. પતિ છેલ્લા કેટલાંક સમયથી પત્નિ ઉપર શંકા રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો. જોકે ગત દિવસોએ બંને વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બનતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં પરિણીતાના પરિવારજનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ હારીજ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામે પતિએ શંકાના આધારે પત્નિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામની સંગીતા ઠાકોરના લગ્ન બોરતવાડાના વાધાજી નવાજી ઠાકોર સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન વારંવાર વાધાજી ઠાકોર સંગીતા પર શંકા રાખી મારઝૂડ કરતો હતો. ગત દિવસોએ બંને વચ્ચે ભારે માથાકૂટ થતાં આરોપી વાધાજીએ સંગીતાની હત્યા કરી નાંખી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપી પતિ વારંવાર મૃતક સંગીતા પર શંકા રાખી મારઝૂડ કરતો હતો. જોકે દરરોજની મારપીટને અંતે ગત દિવસોએ આરોપી પતિ વાધાજીએ પત્નિની નિમર્મ હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે મૃતક સંગીતાના પરિવારજન બાલાજી સુજાજી અજમલજી ઠાકોરે આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. હારીજ પોલીસે આરોપી પતિ વાઘાજીની ધરપકડ કરી કલમ નંબર ૩૦૨ મુજબ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.