ખાનગી હોસ્પીટલોને ફાયદો કરાવવા ચલાવાતી હોય તો સરકારી હોસ્પીટલ બંધ કરો : ગુલાબસિંહ રાજપુત

રખેવાળ ન્યુઝ, થરાદ
થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે શુક્રવારે બપોરે પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી તથા યુથ પ્રમુખ પ્રધાનજી ઠાકોર, કોંગ્રેસના મહામંત્રી તુલસીભાઈ ધુમડા, નગરપાલિકાના પુર્વ પ્રમુખ  પથુભાઈ રાજપુત અને પુર્વ ઉપપ્રમુખ દિલીપભાઈ ઓઝા સહિતના અગ્રણીઓએ રેફરલ હોસ્પીટલમાંથી સબજનરલમાં અપગ્રેડ થયેલી થરાદની સરકારી હોસ્પીટલના તમામ વોર્ડ,ડ્રેસીંગરૂમ,લેબોરેટરી અને શૌચાલયની આર.એમ.ઓ ડા ટી.કે. ભાનુશાળી અને સ્ટાફને સાથે રાખીને સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. એક બાજુ અત્યારે સરહદી પંથકમાં ડેંગ્યુ અને ડીપ્થેરીયા જેવી જીવલેણ બિમારીએ ભરડો લીધો છે. અને થરાદની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે થરાદ ઉપરાંત વાવ અને સુઇગામ તાલુકાના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યા છે. આ બધા દર્દીઓને પહોંચી વળવા ૩૦ ના મહેકમ સામે માત્ર બે નર્સ જ ફરજ બજાવે છે અને રાત્રે તો માત્ર એકની હાજરી હોય  છે. આથી બાટલા ચડાવવા અને કાઢવા માટે પણ રાહ જોવી પડતી હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું. નર્સે પણ વધારે પડતી કામગીરી કરતી હોવાનો રોષ પ્રક્ટ કર્યો હતો. આમ કહેવાતી સબ.જન.હોસ્પીટલમાં ર્નસિંગ સ્વીપર સહિતના સ્ટાફની ઘટ ઉપરાંત સર્જન અને ઓર્થોપેડિક જેવી જગ્યાઓ ખાલી જણાઇ હતી. હોસ્પીટલમાં સાફસફાઇનો અભાવ જોવા મળ્યો હતો. દર્દીઓના બેડની ચાદરો પણ અઠવાડિયાથી બદલવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. તથા શૌચાલય અને સંડાસમાં પાઇપ તુટેલી હોવાના કારણે પાણીના અભાવ વચ્ચે  ગંદકી અને તીવ્ર વાસ વચ્ચે શોષકુવા સુધી તેના મળના નિકાલના અભાવે ચારે બાજુ ગંદકીના ઢગલાની વચ્ચે તુટેલી બારીઓમાંથી મચ્છરો આવીને ડંખ મારતા હોઇ અડધી બિમારી તો હોસ્પીટલમાંથી ઉદભવતી જણાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ફાર્માસિસ્ટની મનમાનીના કારણે બંધ રહેતી દવાઓનો પુરતો સ્ટોક હોવાને છતાં પણ દવાની બારીમાંથી દવા મળવાના બદલે બહારથી દવાઓ મંગાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ધારાસભ્યના ધ્યાનમાં આવતાં તેમણે માનવતા ખાતર ડોક્ટરોને ભાગીદારીનો ધંધો બંધ કરવા રોકડું પરખાવ્યું હતું. જેની વચ્ચે દર્દીઓએ તેમને મળતી સામાન્ય બાટલા અને સામાન્ય પ્રકારના લેબોરેટરીના રિપોર્ટો બહાર કરાવવા મોકલાતાં ૭૦૦થી ૨૦૦૦નો ખર્ચ કરવો પડતો હોવાનું તથા એક્સ રે અને સોનાગ્રાફીના પણ પૈસા ચુકવવા પડતા હોવાનું જણાવતાં હોસ્પીટલનાં સાધનો ચાર ચાર મહિનાથી બંધ પડેલ હોવાની પોલ ખુલવા પામી હતી.હોસ્પીટલમાં પીવાના ચોખ્ખા પાણીની પુરતી વ્યવસ્થાનો અભાવ હતો. દર્દીઓના સગાઓને વરસાદ જેવા માહોલમાં પણ રાત્રે બહાર સુવાની નોબત આવે છે. એટલું જ નહી વોર્ડમાં એક બેડ પર બે દર્દીઓ સુવાડેલા નજરે ચડયા હતા. તથા ચાર ચાર મહિના છતાં સાધનો રિપેર નહી કરાવવા સહિત તમામ બાબતોની ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ નોંધ કરી હતી. ધારાસભ્યએ થરાદ રેફરલ હોસ્પિટલને મીની
  સિવિલનો દરજ્જો મળવાને ચાર વર્ષ છતાં તેમાં રેફરલ કક્ષાની જ સુવિધાઓ મળતાં સંકલનની બેઠકમાં અને આગામી વિધાનસભામાં સરકાર દ્વારા મોટા પ્રમાણમાં રૂપિયા ખર્ચવામાં આવતા હોવા છતાં પણ સરહદી પ્રજાને આરોગ્યની સુવિધાઓ ન મળવા અંગે આ પ્રશ્નો ઉઠાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સાથે જિલ્લા આરોગ્ય અધિકારી તથા થરાદના તાલુકા આરોગ્ય અધિકારી અને પ્રાંત અધિકારી સાથે બેઠક કરીને રજુઆત કરશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્યએ લોકોને પુરતા પ્રમાણમાં આરોગ્યની સુવિધાઓ મળતી નથી અને સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનું પણ જણાવ્યું હતું. સરકારના આટલા રૂપિયા ખર્ચવા છતાં પણ સુવિધા શુન્ય હોય અથવા તો ખાનગી હોસ્પિટલોને ચલાવવા માટે સુવિધા પુરી પાડવામાં આવી રહી હોય તેમ લાગતું હોઇ તેમણે સરકારને થરાદની સરકારી હોસ્પિટલ બંધ કરી દેવાની પણ માર્મિક ચાબખા મારતાં ટકોર કરી હતી. તેમજ આગામી સમયમાં સ્ટાફને ખ્યાલ આવે કે દર્દીઓની શુ હાલત છે તે માટે આગામી મુલાકાત વખતે ડોક્ટરોને સંડાશ બાથરૂમમાં બંધ કરી દેવાની તથા પ્રજાજનોની સુવિધાના મુદ્દે આંદોલન છેડવાની અને આગામી દિવસોમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે થરાદ નગર અને ગ્રામ્ય વિસ્તારોના પીએચસી સીએચસીની પણ મુલાકાત લેવાની ચિમકી ઉચ્ચારી હતી. જો કે સબ જનરલ હોસ્પીટલના આરએમઓ ડા ભાનુશાળીએ પણ સ્ટાફ અને સગવડના અભાવે તેમને કામ ચલાવવું પડી રહ્યું રેફરલ કક્ષાની કામગીરીથી ચલાવવું પડતું હોવાની તેમની મર્યાદાઓ જણાવી કેટલીક ક્ષતિઓ સુધારી લેશે તેમ પણ જણાવ્યું હતું.
 
                                                                                                                                                                                       તસ્વીર અહેવાલ : વિષ્ણુ દવે 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.