વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી ૧૮થી ૨૨ ડિસેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી ૨૨ જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા અંબાના ચરણોમાં ખુલ્લા મને દાનવર્ષા કરી હતી. મુખ્ય યજમાન માટે સૌથી ઊંચી રૂ.૪.૨૫ કરોડની ઉછામણી બોલી વરમોરા ગ્રુપના ગોવિંદભાઈ ગણેશભાઇ પટેલે લાભ લીધો હતો. વરસાદના કારણે ૧૪ જેટલી ઉછામણી થઇ શકી હતી, જેમાં કુલ રૂ.૭.૪૮ કરોડની ઉછામણી બોલી મા ઉમાના ભક્તોએ રંગ રાખ્યો હતો. ઉછામણીની શરૂઆતથી જ જેમ જેમ દાનની વર્ષા થતી રહી તેમ તેમ મંડપમાં ઉપસ્થિત સાતથી આઠ હજાર માઇભક્તોના જયજયકારથી માહોલ ભક્તિમય બની રહ્યો હતો.
૧૮મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ ૨૦૦૯ને દસ વર્ષ પૂર્ણ થતા હોઇ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ગુજરાતમાં ન થયો હોય તેવો પ્રથમ વખત ૧૦૮ યજ્ઞકુંડ તેમજ ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાનો સાથે દિવ્ય શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન ૧૮થી ૨૨ ડિસેમ્બરે કરાયું છે. જેના ઉપલક્ષમાં રવિવારે બપોરે ઊંઝાના ઉમિયા બાગમાં ભવ્ય ઉછામણી યોજાઇ હતી. જેમાં દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ દાનવર્ષા કરી ૨૦૦૯માં યોજાયેલા ૧૮મી શતાબ્દી ધર્મોત્સવનો રૂ.૪.૫૦ કરોડનો રેકોર્ડ તોડી રૂ.૭.૪૮ કરોડની બોલી બોલ્યા હતા. ઉછામણી ત્રણ કલાક ચાલી હતી. જોકે, વરસાદના કારણે ૮ બોલી રોકવી પડી હતી.