સુરતમાં ભારત બંધની વ્યાપક અસર, દુકાનો સજ્જડ બંધ
7WulGSyTWIE
દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધની આગ હવે સુરત સુધી પહોંચી ચૂકી છે. સુરતના કેટલાક વેપારી સંગઠનો તેમજ ધાર્મિક સંગઠનોએ સીએએ કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવીને આજના ભારત બંધમાં જોડાવા માટેનું આહવાન આપ્યું હતું જેની અસર બુધવારે જોવા મળી હતી. ભાગળ થી ચોક વિસ્તારની મોટાભાગની દુકાનોએ બંધ પાળ્યો છે. આ દરમિયાન દુકાનો પર સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં બેનરો લગાવાયા છે. વિરોધમાં લાગેલા આ બેનરો બાદ સમર્થનમાં પણ કેટલાક દુકાનોની આગળ બેનરો લગાવાયા હતા જેને લીધે સંઘર્ષની સ્થિતિ પેદા થવાનો ભય હતો અને ભયને જોતા જ પોલીસે તમામ પગલાઓ લઇને અનિચ્છનિય ઘટના ટાળવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
બહુજન ક્રાંતિ મોરચાના નેજા હેઠળ આપવામાં આવેલા ભારત બંધની અસરો સુરતમાં પણ સ્પષ્ટ દેખાઇ રહી છે. સુરતના ભાગલ અને ચોક વિસ્તારમાં બંધની મોટી અસર જોવા મળી રહી છે જ્યાં મોટાભાગના દુકાનોના માલિકોએ બંધને સમર્થન આપ્યું છે. બંધના પગલે પોલીસે સેન્ટ્રલ, લિંબાયત અને રાંદેર ઝોનમાં સખત પોલીસ બંન્દોબસ્ત જોવા મળી રહ્યો છે. આ પહેલા મંગળવારે પણ સાંજે દુકાનો બંધ કરવામાં આવી રહી હતી. મંગળવારે માર્કેટ વિસ્તારમાં સીએએ કાયદાના સમર્થનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
આ બંધને લઇને સુરત પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે અને કોઇ અસામાજિત તત્વો બંધનો ફાયદો ઉઠાવીને વિરોધ પ્રદર્શનનો દુરૂપયોગ ન કરે તે માટે ખાસ પગલા લઇ રહી છે. ચોક વિસ્તારમાં પોલીસ ખાસ મુસ્તૈદ છે જેથી કોઇ અનિચ્છનીય ઘટના કે સંઘર્ષને ટાળી શકાય.