ઊંઝામાં બિરાજમાન સમસ્ત કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ ધર્મોત્સવના પ્રથમ ચરણમાં રવિવારે સવારે 5100 જ્વારાકુંડ અને મા ઉમાની દિવ્ય જ્યોત સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે 7-30 વાગે ઉમિયા માતાજી મંદિરેથી મા ઉમિયાની પ્રતિમા અને દિવ્ય જ્યોત ચાંદીના રથમાં બિરાજમાન કરી શોભાયાત્રાનો આરંભ કરાયો હતો. જેમાં 5100 બહેનો જવારા માથે મૂકી જોડાતાં જાણે માના રથ પાછળ હરિયાળી લહેરાતી હોય તો દિવ્ય માહોલ ખડો થયો હતો.
માના રથની આગળ 1100 ભૂદેવો મા ઉમાનો જયઘોષ કરતાં જોડાયા હતા, સાથે માઇભક્તોનો વિશાળ સમૂહ હિલોળે ચડ્યો હતો. ઉમિયા બાગમાં લક્ષચંડી મહાયજ્ઞના 8 મુખ્ય યજમાનો દ્વારા મુખ્યગોર રાજેશભાઈ શાસ્ત્રી દ્વારા વિધિ વિધાનપૂર્વક પૂજન, આરતી બાદ દુર્ગાસપ્તસતીના પાઠનો પ્રારંભ થયો હતો. અહીં 1લી ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઉમિયા માતાજીની અખંડ જ્યોતની સાક્ષીએ 1100 બ્રાહ્મણો દ્વારા સતત 16 દિવસ સુધી 700 શ્લોકના દુર્ગા સપ્તસતિના એક લાખ પાઠની પારાયણ કરવામાં આવશે.