યુવરાજસિંહે ઉર્જા ભરતી કૌભાંડ મામલે લગાવ્યા ગંભીર આરોપ
ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા આજે મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ગેરરીતિ થઈ છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર પર ફરી પાછા માછલાં ધોવાઈ રહ્યાં છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે “અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓનાં હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ.”