વડોદરામાં મોદીના જન્મદિવસને લઇ આગામી 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાશે
17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામા આવનાર છે. ત્યારે તે સમયે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં સંઘના પ્રચારક તરીકે ઇસ.1984-1986 સુધી સંઘ કાર્યાલયમાં રહીને દેશભાવના જાગૃત કરવાની કામગીરીમાં જોડાયેલા હતા તે સ્થળ હાલમાં શાસ્ત્રીપોળ ખાતે આવેલી છે જેની મુલાકાતે બંને નેતાઓ હાજરી આપશે. આ ઉપરાંત વડોદરા શહેર સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રજાલક્ષી જે યોજનાઓ છેલ્લા 7 વર્ષમાં શરૂ કરવામાં આવેલી છે. તેવી 71 અલગ-અલગ યોજનાઓને 71 હોટ એરબલૂનના માધ્યમથી પ્રજાને માહિતગાર કરવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. જેમાંથી એક હોટ એર બલૂન આ સ્થળે લગાવવામાં આવશે. નીતિન ગડકરી અને સી.આર.પાટીલ દ્વારા 271 ગંગા સ્વરૂપ બહેનોને પેન્શન સહાય માટેના રાજ્ય સરકારના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જે કાર્યક્રમ સર સયાજીરાવ નગરગૃહ ખાતે રાખવામાં આવ્યો છે અને તેજ સ્થળે દિવ્યાંગોને સાંસદ નિધિમાંથી કૃત્રિમ અંગો પણ આપવામાં આવશે.