વડોદરામાં 15 દિવસમાં દેશની સૌથી ઊંચી 20 ફૂટની ખુરશી તૈયાર કરી
આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણના ભૂમિપૂજનને લઇને વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વડોદરા નજીક આવેલા ભાયલી ગામના ખેડૂતે 20 ફૂટ ઊંચી ખુરશી બનાવીને તેમાં વિધિ વિધાન સાથે ભગવાન શ્રીરામની તસવીર મુકીને સ્થાપના કરી હતી. આ ખુરશી દેશની સૌથી ઊંચી ખુરશી હોવાનો દાવો બનાવનારે કર્યો છે.
વડોદરા શહેરના ભાયલી ગામમાં રહેતા ખેડૂત અરવિંદભાઇ પટેલે 15 દિવસમાં 20 ફુટ ઊંચી અને 1500 કિલો વજનની ખુરશી તૈયાર કરી છે. તેઓએ અયોધ્યામાં બનનાર ભગવાન શ્રીરામના મંદિર માટેના શિલાન્યાસની સાથે પોતે બનાવેલી ખુરશીમાં ભગવાન શ્રીરામની તસવીર મુકીને પોતાના પેટ્રોલ પંપ ઉપર લોકોના દર્શનાર્થે મુકી છે.
20 ફૂટ ઉંચી ખુરશી બનાવનાર ભાયલી ગામના પૂર્વ સંરપંચ અને ખેડૂત અરવિંદભાઇ પટેલે જણાવ્યું કે, લોકડાઉનના સમયમાં ઘરે બેસીને કંટાળો આવતો હતો. જેથી ગુગલ પર સર્ચ કરીને અવનવી વસ્તુઓ જોતો હતો, ભારતમાં સરદાર પટેલની પ્રતિમા છે, તેવી જ રીતે અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે. આવી અનેક ઊંચાઇ ધરાવતી પ્રતિમાઓ અને જુદી જુદી વસ્તુઓથી બનેલી છે, પરંતુ ઇન્ટરનેટ પર જોતા ખબર પડી કે, ભારતમાં 20 ફુટ ઊંચી ખુરશી હજી કોઇએ બનાવી નથી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, થોડા સમય પહેલા અમેરિકા ગયો હતો. ત્યારે ત્યાં 4થી 5 ફુટની ઊંચી ખુરશીઓ જોઇ હતી, પણ તેનાથી મોટી કોઇ ખુરશી મારા ધ્યાનમાં આવી ન હતી. દરમિયાન મે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. સર્ચમાં પણ તેમાં પણ ચાર-પાંચ ફૂટથી વધ ઊંચી ખુરશી જણાઇ આવી નહોતી. જેથી મે કોરોનાના લોકડાઉનમાં મળેલો સમય અને મારી પાસે પડેલા મટીરીયલનો ઉપયોગ કરીને દેશની સૌથી ઊંચી 20 ફૂટ ઉંચી ખુરશી 15 દિવસમાં બનાવી હતી. આ ખુરશીનું વજન 1500 કિલો છે.
અરવિંદભાઇએ જણાવ્યું કે, આ ખુરશી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે, દેશમાં ઘણી મોટી પ્રતિમાઓ અને અજાયબીઓ છે, પરંતુ ક્યાંય પણ 20 ફુટ ઊંચી ખુરશી નથી. જેથી આ ખુરશી બનાવી હતી. પરંતુ, ખુરશીમાં ભગવાન શ્રીરામને બિરાજમાન કરવાના હતા, તેથી જ મારા હાથે આ ખુરશી બની હોય તેવું લાગે છે. આજે આ ખુરશીમાં ભગવાન શ્રીરામની તસવીર મુકીને મારા પેટ્રોલ પંપ ઉપર લોકોના દર્શન માટે મુકવામાં આવી છે. અને લોકોને લાડુનો પ્રસાદ પણ આપવામાં આવ્યો છે.
વડોદરાના છાણી ગામમાં લોકો અને સાધુ સંતોએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ભૂમિપૂજનને લઇને ઉજવણી કરી હતી. બે ગજરાજ પર ભગવાન શ્રીરામનો ફોટો મૂક્યો હતો. 5 હજાર લોકોને 500 કિલો શિરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિષ પટેલ પણ હાજર રહ્યા હતા. લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
આ ઉપરાંત વડોદરાના માંડવી ખાતે આવેલા રામજી મંદિરમાં 108 દીવા પ્રગટાવીને રામ મંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી હતી. મંગળ બજાર યુવક મંડળ દ્વારા 21000 લાડુ બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું. અગ્રવાલ યુવા સંઘ દ્વારા 1100 લાડુ બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળીપુરા ખાતે કરણી સેના દ્વારા રામ ચોક બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.